વડોદરાઃ છાણીની 27 વર્ષીય યુવતીએ મહીસાગરમાં પડતું મૂકીને આપઘાત કરી લેતાં પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. યુવતીએ પ્રેમલગ્ન કરેલા છે અને આ લગ્ન થકી તેને બે સંતાન પણ છે. જોકે, પતિની આવક ન હોવાથી ઘરખર્ચનો ભાર વેઠવો પડતો હતો. ફ્લેટના હપ્તા ભરવામાં આખો પગાર ખર્ચાઈ જતો. આ સાથે પતિના ત્રાસથી પત્ની કંટાળી ગઈ હોવાથી તેણે આત્મહત્યા કરી લીધી હતી. 


હેલ્થ કેર કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી ફ્લાવીયા પરમારે વર્ષ-૨૦૧૪માં વિજેન્દ્ર ચીમનભાઇ પરમાર સાથે લવ મેરેજ કર્યા હતા. આ લગ્નથી તેને બે સંતાનો પણ છે. ફ્લાવીયા ગત 5મી ઓક્ટોબરે થોડીવારમાં આવવાનું કહીને એક્ટિવા લઇ નીકળી હતી. જોકે, ઘરે પરત ન ફરતાં પતિએ બીજા દિવસે છાણી પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં તે ફાજલપુર બ્રિજ સુધી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું. જ્યાં તપાસ કરતાં બ્રિજ પરથી તેનું એક્ટિવા અને મોબાઇલ મળ્યા હતા.


આ પછી ગત 10મી ઓક્ટોબરે આણંદ પોલીસને ખંભાતના દરિયા પાસેથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીકરીએ આત્મહત્યા કરી લેતા પિતાએ પોલીસને અરજી આપી હતી અને પતિ સામે ફરિયાદ કરી હતી. પરિણીતા ગૂમ થઇ ત્યારે તેણે તેના પતિને કહ્યું હતું કે તારી સાથે લગ્ન કરીને મારી જિંદગી ખરાબ થઇ ગઇ છે. આ અંગે પતિ પત્નીને ફ્રેન્ડને વાત કરી હતી. 


યુવતીએ ફ્લેટ લીધો હોવાથી તેના લોનના હપ્તામાં પગારનો મોટોભાગ કપાતો હતો. જેથી તે આર્થિક ભીંસ અનુભવતી હતી. પતિ તેની સાથે વારંવાર ઝઘડો કરતો હોવાથી તેણે કંટાળીને પગલું ભર્યું હતું.