વડોદરાઃ પી.આઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચર્ચાસ્પદ કેસમાં  44માં દિવસે પણ સ્વીટી પટેલના કોઈ જ સગડ મળ્યા નથી. જિલ્લા પોલીસ તપાસમાં કંઈ નહીં મળતા ગૃહ મંત્રીએ તપાસ આંચકી લીધી છે તેમજ  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એ.ટી.એસ.ને તપાસ સોંપાઈ છે. 


બીજી તરફ ગઈ કાલે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ દરમ્યાન 50 પ્રશ્નો પુછવામા આવ્યા હતા. તબીબોની પેનલ દ્વારા નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.  વૈજ્ઞાનિક ઢબે સમગ્ર કેસની તપાસ થઈ રહી છે. નાર્કો ટેસ્ટના રીપોર્ટ પર સહુની નજર છે. 


નોંધનીય છે કે, કરજણ પોલીસની તપાસ બાદ ડી.વાય.એસ.પી ને તપાસ સોંપાઈ હતી. અત્યાર સુધી અનેક શંકાસ્પદ ની પૂછપરછ કરાઈ છે. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ થઈ રહી છે. માનવ હાડકા મળ્યાં તે સ્થળે ફોરેન્સિક નિષ્ણાંતની ટીમે તપાસ કરી હતી. હજુ સુધી એફ.એસ.એલ એ એસ.ડી.એસ, પોલિગ્રાફ અને ડી.એન.એ ટેસ્ટ નો રિપોર્ટ આપ્યો નથી. સમગ્ર કિસ્સા મામલે પી.આઈ અજય દેસાઈ શંકા ના ઘેરામાં છે.



કરજણથી પી.આઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દહેજના અટાલી ગામથી મળેલા અસ્થિ યુવાન વયના માનવ શરીરના હોવાનો ઘટસ્ફોટ થયો છે. એફએસએલ રિપોર્ટમાં અસ્થિ માનવ શરીરના હોવાનુ ખુલ્યું છે. દહેજના અટાલી ગામેથી મળેલા હાડકાં 35 થી 40 વર્ષની વ્યક્તિના હોવાનું પણ સપાટી પર આવ્યું છે. સ્વીટી પટેલની હત્યા થઈ હોવાની આશંકા છે. ડીએનએ ટેસ્ટ માટે સ્વીટી પટેલના ભાઈ અને પુત્ર લાડના સેમ્પલ લેવામા આવ્યા છે. 


બીજી તરફ જિલ્લાના પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાનો મામલે પોલીસે પીઆઈના મિત્ર કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાની પૂછપરછ શરૂ કરી હતી. કિરીટસિંહ જાડેજા કરજણ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. પીઆઈના ગાઢ સંપર્કમાં રહેલા મિત્ર વર્તુળ અને સંબંધીઓની પૂછપરછનો દોર પોલીસે શરૂ કર્યો હતો. 


અગાઉ તપાસ અધિકારીએ પી.આઈ દેસાઈને કરજણ કોર્ટમાં હાજર કર્યા હતા. પી.આઈ અજય દેસાઈના પોલિગ્રાફ - નાર્કો ટેસ્ટ માટે પોલીસને કોર્ટે મંજૂરી આપી હતી. પી.આઈ દેસાઈનો 4 વાર સસ્પેક્ટ ડિટેક્સન સિસ્ટમ ટેસ્ટ કરાયો હતો. દહેજથી 12 કિલોમીટર દૂર અટાલી ગામની સીમમાંથી બળેલા અસ્થિ મળ્યા હતા. અસ્થિનું સુરત સિવિલ હોસ્પિટલમાં એફ.એસ.એલ દ્વારા પી.એમ થશે. એફ.એસ.એલ.ના અહેવાલ બાદ પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે. 45 દિવસથી ગુમ સ્વીટી પટેલ ન મળતા પી.આઈ શંકાના ઘેરામાં છે. કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં.