દાહોદઃ ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલના રહસ્મય મોતને મામલે ચોંકાવનોર ખુલાસો થયો છે. કાઉન્સિલર હિરેન પટેલની પુર્વ આયોજીત હત્યા કરવામા આવી હતી. દાહોદ એલ.સી.બી પોલીસ અને ગોધરા રેન્જની સાઈબર ક્રાઈમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કાઉન્સિલર હીરેન પટેલની હત્યા કરવામા ઝાલોદના અજય કલાલ, 2002માં ગોધરા રેલ્વે હત્યાકાંડનો આરોપી ઈરફાન સીરાપાડા, રાજસ્થાનના મહીધપુરનો સજજ્નસિંહ ચૌહાણના નામ સામે આવ્યા છે.


કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કરવામા રાજકીય કારણ સામે આવ્યું છે. હિરેન પટેલની હત્યા કરાવવા અજય કલાલે 4 લાખ રૂપિયાની સોપારી આપી હતી. કાઉન્સિલરની હત્યામા હજી પણ મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા છે. હત્યાને અકસ્માતમા ખપાવવાનો પ્રયાસ કરાયો હતો.



નોંધનીય છે કે, હીરેન પટેલના પુત્ર દ્વારા અકસ્માતમાં મોત નહીં, પરંતુ તેમની હત્યા કરી નાંખવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. રાજકીય અદાવત રાખી હત્યા કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. પુત્ર પંથ હિરેન પટેલે ઝાલોદ પોલીસે સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. વહેલી સવારે મોર્નિગ વોકમાં નીકળેલા હિરેન પટેલનું મોત થયું હતું. હિરેન પટેલ ઝાલોદ પાલિકામાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ સમાજિક અને રાજકીય આગેવાન હતા.



પોતાના મુવાડાનાકા સ્થિત ઘરેથી વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા હિરેન પટેલને રસ્તા પર પરિચિત વ્યક્તિએ ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીમાં પડેલા જોયા હતા, જેથી તેમણે તરત જ તેમના પરિવારજનોને જાણ કરી દીધી હતી. હિરેન પટેલને પહેલા ઝાલોદની સુન્દરમ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે લઇ જવાયા હતા. આ પછી તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રેફર કરાયા હતા. જોકે, તેમનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું.