નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) જિતેન્દ્ર સિંહે ગુરુવારે કહ્યું કે, અગરતલા અને બાંગ્લાદેશ વચ્ચે રેલવે રૂટની શરૂઆત વર્ષ 2020માં કરવામાં આવશે. બંન્ને દેશો વચ્ચે શરૂ થનારી રેલવે લાઇન પર ટ્રેનોનું સંચાલન શરૂ થયા બાદ સામાનની હેરાફેરી ખૂબ સરળ અને સસ્તી થઇ જશે. તે સિવાય અગરતલા સહિત આખા પૂર્વોત્તર ભારતના વિકાસને પણ ગતિ મળશે. રેલવે પરિયોજના અંગે નિવેદન આપતા કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ત્રિપુરાના અગરતલાથી બાંગ્લાદેશ વચ્ચે વર્ષ 2020થી ટ્રેન ચલાવવામાં આવશે. આ પ્રોજેક્ટની ફંડિંગમાં કેન્દ્ર સરકારનું પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય સહયોગ કરશે અને હવે આ કામ પુરા થયા બાદ બાંગ્લાદેશમાં ભારતના હાઇકમિશન તેની દેખરેખ રાખશે.


નોંધનીય છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંચાલિત થનારા આ પ્રોજેક્ટને અગાઉ 2019માં જ પુરો કરવાનો હતો પરંતુ કામમાં મોડુ થવાના કારણે પ્રોજેક્ટનું કામકાજ પુરુ થઇ શક્યું નહીં. ભારત સરકારની ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ તરફથી પૂર્વમાં આ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનું ફંડિંગ ભારત અને  બાંગ્લાદેશના પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય કરી રહ્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆત થયા બાદ અગરતલા અને કોલકત્તા વચ્ચેની 1613 કિલોમીટરનું અંતર રેલવે માર્ગે ત્રીજા ભાગનું થઇ જશે.