Salman Rushdie Attacked In US: ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન લેખક સલમાન રશ્દી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન સલમાન રશ્દી પર સ્ટેજ પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે સલમાન રશ્દીને મુક્કો માર્યો હતો. આ કાર્યક્રમમાં 75 વર્ષીય સલમાન રશ્દી લેક્ચર આપવાના હતા. હુમલામાં ઘાયલ થયેલા સલમાન રશ્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.


ન્યૂયોર્ક પોલીસે જણાવ્યું હતું કે તેઓ ચૌટૌકા ઇન્સ્ટિટ્યૂટમાં ભાષણ કાર્યક્રમ પહેલા લેખક સલમાન રશ્દી પરના હુમલાની તપાસ કરી રહ્યા છે. લગભગ 11 વાગ્યાની આસપાસ, એક શંકાસ્પદ સ્ટેજ પર આવ્યો અને તેણે રશ્દી અને ઇન્ટરવ્યુ લેનાર પર હુમલો કર્યો. રશ્દીના ગળામાં છરો મારવામાં આવ્યો હતો જે બાદ તેમને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેની હાલત હજુ જાણવા મળી નથી. ઇન્ટરવ્યુ લેનારને માથામાં સામાન્ય ઈજા થઈ છે. શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.


લેખકોએ ટ્વિટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી


સલમાન રશ્દી પર થયેલા હુમલાને લઈને અનેક સેલિબ્રિટીઓએ ટ્વિટ કરીને ચિંતા વ્યક્ત કરી છે. લેખિકા તસ્લીમા નસરીને ટ્વીટ કર્યું, "મને હમણાં જ ખબર પડી કે ન્યૂયોર્કમાં સલમાન રશ્દી પર હુમલો થયો હતો. હું ખરેખર આઘાતમાં છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આવું થશે. તેઓ પશ્ચિમમાં રહે છે અને 1989થી તેમની સુરક્ષા કરવામાં આવી રહી છે. જો તેમના પર હુમલો થાય તો ઈસ્લામની ટીકા કરનાર કોઈપણ વ્યક્તિ પર  હુમલો  થઈ શકે છે. હું ચિંતિત છું."


પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?


એક પ્રત્યક્ષદર્શી કાર્લ લેવને ટ્વીટ કર્યું હતું કે સલમાન રશ્દીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હુમલાખોરને સુરક્ષા દળો દ્વારા પકડવામાં આવે તે પહેલા રશ્દીને ઘણી વખત છરા મારવામાં આવ્યો હતો. પ્રેક્ષકોમાંથી કેટલાક સભ્યો પછી સ્ટેજ પર ગયા.


પુસ્તકને લઈને ધમકીઓ આપવામાં આવી છે


ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સલમાન રશ્દી છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહે છે. સલમાન રશ્દીને તેમના પુસ્તક 'ધ સેટેનિક વર્સિસ'ને લઈને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. આ પુસ્તક ઈરાનમાં 1988થી પ્રતિબંધિત છે કારણ કે તેના પર ઈસ્લામ વિરુદ્ધ ઈસ્લાફેમીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઈરાનના ટોચના નેતા દ્વારા તેમના માથા પર ઈનામ પણ મૂકવામાં આવ્યું હતું.


તેમની પ્રથમ નવલકથા 1975માં આવી હતી. તેમને તેમના મિડનાઈટ ચિલ્ડ્રન (1981) માટે બુકર પુરસ્કાર પણ મળ્યો હતો. મિડનાઈટ ચિલ્ડ્રન એ આધુનિક ભારત વિશેની નવલકથા છે. તેમના ચોથા પુસ્તક, ધ સેટેનિક વર્સીસ (1988) ના વિવાદ પછી તે લોકોની નજરથી દૂર રહ્યા છે. જો કે, ધમકીઓ છતાં, સલમાન રશ્દીએ 1990 ના દાયકામાં ઘણી નવલકથાઓ લખી. 2007માં તેમને સાહિત્યની સેવાઓ માટે ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા 'સર'નું બિરુદ આપવામાં આવ્યું હતું.