નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલને લઈને વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને ભારતનો ત્રણ દિવસીય પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રાલય દ્વારા અગાઉ જાહેર કરેલી સૂચના અનુસાર મોમેન ગુરુવારે સાંજે ભારત પહોંચવાના હતા. સૂત્રોએ જણાવ્યું કે આ બિલ પાસ થયા બાદ વણસેલી સ્થિતિને જોતા પોતાનો આ પ્રવાસ રદ્દ કરી દીધો છે.


આ પહેલા વિદેશ મંત્રી ડો. એકે અબ્દુલ મોમિને કહ્યું કે, ઘણાં ઓછા એવા દેશ છે જ્યાં સાંપ્રદાયિક સદભાવ બાંગ્લાદેશ જેટલું સારું છે. તેમણે આગળ કહ્યું કે, જો તે (ગૃહમંત્રી અમિત શાહ) થોડા મહિના માટે બાંગ્લાદેશમાં રહે તો તેમને અમારા દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ કેવું છે તે જોવા મળશે. તેમણે કહ્યું કે, તેઓ જે હિન્દુઓના શોષણની વાત કરી રહ્યા છે તે બિનજરૂરી અને ખોટી છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે ભારતની અંદર ઘણી જ મુશ્કેલીઓ છે, પહેલાં તેનું સમાધાન લાવવું જોઈએ. એક મિત્ર હોવાને કારણે અમે એટલું ઈચ્છીએ છીએ કે ભારત એવું કંઈ નહીં કરે જેનાથી બંને દેશના સંબંધો વણશે. બુધવારે ગૃહમંત્રી અમિત શાહે બાંગ્લાદેશનું નામ લીધું હતું અને ત્યાં અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવે છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. જો કે અમિત શાહે એમ પણ કહ્યું હતું કે હાલની શેખ હસીના સરકાર વાતાવરણ યોગ્ય બનાવવાના પ્રયાસો કરી રહી છે.