હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના વિરોધમાંથી નીકળેલી ચિનગારીને કારણે દેશ સળગી રહ્યો છે. આ દરમિયાન હજુ પણ મોટા પાયે હિંસા ચાલુ છે. આ દરમિયાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ મળી આવ્યા છે.


વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને ભારત પહોંચેલા શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ પ્રદર્શનકારીઓના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે. અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ મળી આવ્યા છે. આ નેતાઓના પરિવારજનોના મૃતદેહ પણ મળી આવ્યા છે. પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકરોના ઘરો અને સંસ્થાઓમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી રહી છે.


બાંગ્લાદેશના સતખીરામાં થયેલી હિંસામાં 10 લોકોના મોત થયા છે. કુમિલામાં અગિયાર લોકો માર્યા ગયા છે, જ્યારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાઉન્સિલર મોહમ્મદ શાહ આલમના ત્રણ માળના મકાનને તોફાનીઓએ આગ લગાવી દીધી હતી, જેમાં છ લોકો માર્યા ગયા હતા.


બાંગ્લાદેશના પ્રખ્યાત સિંગર રાહુલ આનંદનું ઢાકાના ધનમંડીમાં 140 વર્ષ જૂનું ઘર બદમાશોએ સળગાવી દીધું હતું. આનંદનું આ ઘર એક વાઈબ્રન્ટ સાંસ્કૃતિક કેન્દ્ર હતું. બદમાશોએ ઘર સળગાવતા પહેલા લૂંટ પણ કરી હતી.


શેખ હસીનાના મંત્રીઓ દેશ છોડીને ભાગી રહ્યા છે


શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા બાદ તેમની ભૂતપૂર્વ કેબિનેટના મંત્રીઓ એક પછી એક દેશ છોડીને ભાગી રહ્યા છે. બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદની ઢાકા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. તે ભારતની ફ્લાઈટમાં બેસી ભાગવા ગયા હતા. ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.


બાંગ્લાદેશમાં બળવા પહેલા પણ શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના ઘણા ટોચના નેતાઓ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓએ દેશ છોડી દીધો હતો. અવામી લીગના મહાસચિવ અને માર્ગ પરિવહન મંત્રી અબ્દુલ કાદેર રવિવારે રાત્રે જ દેશ છોડીને ભાગી ગયા હતા. આ સાથે હસીનાની સરકારમાં મંત્રી રહી ચૂકેલા અનીસુલ હક હસીનાના રાજીનામા પહેલા જ દેશ છોડીને કોઈ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા.


 બાંગ્લાદેશના 27 જિલ્લામાં હિંદુઓ પર હુમલા


બળવા બાદ બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા ચાલુ છે. આ દરમિયાન દેશના 27 જિલ્લામાં હિંદુઓ પર હુમલાના અહેવાલો છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરોને પણ મોટા પાયે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.


પોલીસ સ્ટેશન અને ઈમારતોને આગ લગાડી


શેખ હસીનાના રાજીનામા બાદ બદમાશોએ અનેક પોલીસ સ્ટેશનો અને ઈમારતોમાં લૂંટ ચલાવી હતી. ઢાકાના મીરપુર મોડલ પોલીસ સ્ટેશનને પણ બદમાશોએ આગ લગાવી દીધી હતી. જેના કારણે પોલીસ સ્ટેશન બળીને રાખ થઈ ગયું હતું. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ઘણી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ મીરપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સફાઇ કરી હતી.


પોલીસકર્મીઓ હડતાળ પર છે


બાંગ્લાદેશ પોલીસ સર્વિસ એસોસિએશન (BPSA) એ મંગળવારે હડતાળની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી દરેક પોલીસકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ન આવે ત્યાં સુધી અમે હડતાળ ચાલુ રાખીશું. સોમવારે બાંગ્લાદેશમાં 400 થી વધુ પોલીસ સ્ટેશનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અનેક પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.