દુબઈ: UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનો શિલાન્યાસ સમારોહમાં હજારો હિન્દુઓ હાજર રહ્યાં હતા. મંદિરનું નિર્માણ બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા(BAPS) કરી રહી છે.

સંસ્થાના આધ્યાત્મિક ગુરૂ મહંત સ્વામી મહારાજે મુખ્ય પૂજા સ્થળ પર પવિત્ર ઈંટ મુકી અને 4 કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ અવસર પર UAEમાં ભારતીય રાજદુત નવદીપ પૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્રને વાંચ્યો હતો. જેમાં આ પહેલ માટે UAEને અભિનંદન આપ્યા હતા.

નવદીત પૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં જણાવ્યું હતું કે, 130 કરોડ ભારતીયો તરફથી મારા મિત્ર અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાનને શુભકામનાઓ આપવી મારું સૌભાગ્ય છે. જ્યારે આ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે ત્યારે તે સાર્વત્રિક માનવ અને આધ્યાત્મિક મૂલ્યોનું પ્રતીક હશે. આ મંદિર ‘वसुधैव कुटुंबकम’ ના વૈદિક મુલ્યોનું પ્રતીક છે.

વડાપ્રધાને આગળ લખ્યું હતું કે, આ મંદિર UAEમાં વસેલા 33 લાખ ભારતીય અને અન્ય સંસ્કૃતિના લોકો માટે પ્રેરણાસ્ત્રોત હશે. ઉલ્લેખનીય છે કે અબુધાબી સરકારે આ મંદિરના નિર્માણની મંજૂરી 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ UAEની મુસાફરી દરમિયાન આપી હતી.