કોરોના પર બ્રાઝિલના રાષ્ટ્રપતિનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ- કેટલાક લોકો તો મરશે, અકસ્માતના કારણે કાર ફેક્ટરીઓ બંધ ના કરી શકાય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Mar 2020 01:20 PM (IST)
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ કોરોનાથી થયેલા મોત પર પોતાની સરકારના આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા હતા
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કોરોના વાયરસને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ કહ્યુ કે, કોરોના વાયરસથી કેટલાક લોકો મરશે આજ જીવન છે. તમે રોડ અકસ્માતના કારણે થતા મૃત્યના કારણે કાર ફેક્ટરીઓ બંધ કરી શકતા નથી. વાસ્તવમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ કોરોનાથી થયેલા મોત પર પોતાની સરકારના આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમને શંકા છે કે રાજકીય હિતો સાધવા માટે આ મામલા પર વધુ ચર્ચા કરવામાં આવી રહી છે. દક્ષિણપંથી નેતા જાયર બોલસોનારોએ કહ્યું કે, સાઓ પાઉલો રાજ્યના કોરોના વાયરસના કેસની સંખ્યા પર વિશ્વાસ નથી. તેમના નિવેદનને લઇને સાઓ પાઉલો રાજ્યના ગવર્નરે પ્રતિક્રિયા આપી છે. શુક્રવારે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને માફ કરો, પણ કેટલાક લોકો મરશે, આ જીવન છે. ટ્રાફિક ડેથના કારણે તમે કારની ફેક્ટરીઓ બંધ કરી શકો નહીં. સાઓ પાઉલો કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. કોરોના વાયરસના કારણે બ્રાઝિલમાં થયેલી 92 મોતમાંથી 68 સાઓ પાઉલોમાં થયા છે.