અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. એક તરફ વિદેશોમાંથી મળતી સહાય પર રોક લગાવવાની જાહેરાત કરાઈ રહી છે અને મોટાભાગના દેશો પોતાના દૂતાવાસ ખાલી કરી રહ્યા છે. બીજી તરફ લોકો ત્યાંથી જીવ બચાવીને ભાગવાની કોશિશ કરી રહ્યા છે. તેની વચ્ચે અફઘાનિસ્તાનના પૂર્વ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પોતાને અફઘાનિસ્તાનના કેયર ટેકર રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. 


અમરુલ્લા સાલેહએ મંગળવારે ટ્વિટ કરતા કહ્યું- અફઘાનિસ્તાનના સંવિધાન મુજબ, રાષ્ટ્રપતિના રાજીનામું, તેમના નિધન, ભાગવા અથવા ગેરહાજરીમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કેયર ટેકર રાષ્ટ્રપતિ હશે. તેમણે આગળ કહ્યું- હું વર્તમાનમાં દેશનું અંદર છું અને કેયર ટેકર રાષ્ટ્રપતિ છું. તમામ નેતાઓ સાથે સંપર્ક કરી રહ્યો છું જેથી તેમનું સમર્થન અને સહમતિ બની શકે.



તાબિબાનના નિયંત્રણ બાદ જર્મનીએ અફઘાનિસ્તાનને આપવામાં આવતી વિકાસ સહાયતા રદ કરી છે. જર્મનીના વિકાસ મંત્રી ગર્ડ મુલરે મંગળવારે સ્થાનિક મીડિયાને કહ્યું, સરકારી વિકાસ સહાયતે હાલ રદ કરવામાં આવી છે. તેમણે કહ્યું જર્મનીની વિકાસ એજન્સી જીઆઈજેડના અંતરારાષ્ટ્રીય કર્મચારીઓએ તમામ જર્મન નાગરિકોએ અફઘાનિસ્તાન છોડી દિધુ છે. સાથે જ કહ્યું જર્મની સ્થાનીક અફઘાન કર્મીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે.


ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાથી ભારત આવનારા લોકો માટેના વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હાલની સ્થિતિને જોતાં ઈલેક્ટ્રોનિક વિઝાની એક નવી કેટેગરી e-Emergency X-Misc Visa શરૂ કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનથી ભારત આવનારા લોકોને ઝડપથી વિઝા મળી શકે, એના માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.


કાબુલ એરપોર્ટ પર સોમવારે અમેરિકાના પ્લેન પર લટકીને ભાગવા જતાં પડી જવાથી 7 લોકોનાં મૃત્યુ થયાં છે. બીજી તરફ અમેરિકાના સૈનિકોએ કાબુલ એરપોર્ટ પર બે હથિયારધારી લોકોને ઠાર કર્યા છે. આ સ્થિતિને જોતાં તમામ સૈન્ય અને કોમર્શિયલ વિમાનોને રોકી દેવામાં આવ્યાં હતાં. જોકે 1000 અમેરિકાના સૈનિકો પહોંચી જતાં એરપોર્ટ ફરીથી ખોલી નાખવામાં આવ્યું છે. હવે અમેરિકાના સૈનિકો જ ઉડાનનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે.


અમેરિકાનું કહેવું છે કે એરપોર્ટ પર પોતાના 6 હજાર સૈનિક તહેનાત કરશે, જેથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી શકાય. હાલ કાબુલ એરપોર્ટ પર ભાગદોડ જેવી સ્થિતિ છે. દેશ છોડવા માટે લોકો હજારોની સંખ્યામાં એકઠા થયા છે. ઘણા એવા પણ છે, જે કોઈપણ પ્રકારનો સામાન લીધા વગર જ એરપોર્ટ આવી ગયા છે.