યુક્રેનિયન દળોએ રશિયન સેના તરફથી લડતા ગુજરાતના મોરબીના યુવક મજોતી સાહિલ મોહમ્મદ હુસૈન (22) ને પકડી લીધો છે. પીટીઆઈ અનુસાર, યુક્રેનિયન લશ્કરી અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ગુજરાતના મોરબીના રહેવાસી મજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુદ્ધના મેદાનમાં માત્ર ત્રણ દિવસ વિતાવ્યા બાદ 63મી મિકેનાઇઝ્ડ બ્રિગેડ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. મોરબીનો યુવક રશિયા માટે યુદ્ધ લડી રહ્યો હતો. મોરબીનો યુવક અભ્યાસ માટે રશિયા ગયો હતો. જ્યાં મજોતી સાહિલ મોહંમદ હુસેનને ડ્રગ્સ કેસમાં દોષિત ઠેરવી સાત વર્ષની ફટકારાઈ હતી. જેલની સજાથી બચવા માટે તે રશિયન સેનામાં સામેલ થયો હતો.
ANIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૂત્રોએ જણાવ્યું હતું કે કિવમાં ભારતીય મિશન આ અહેવાલોની સત્યતાની તપાસ કરી રહ્યું છે. યુક્રેનિયન પક્ષ તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી મળી નથી. યુક્રેનિયન સેનાએ ટેલિગ્રામ પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે હુસૈન શરૂઆતમાં રશિયા અભ્યાસ કરવા ગયો હતો પરંતુ બાદમાં ડ્રગ સંબંધિત આરોપોમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બ્રિગેડે એક નિવેદનમાં કહ્યું હતું કે, "તે જેલથી બચવા માટે યુદ્ધમાં જોડાયો હતો."
બ્રિગેડ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં હુસૈન રશિયન ભાષામાં બોલતો અને સ્વીકારતો જોવા મળે છે કે તે જેલની સજાથી બચવા માટે રશિયન સેનામાં ભરતી થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં તે યુક્રેન પર મોસ્કોના આક્રમણનું વર્ણન કરવા માટે વપરાતા શબ્દનો ઉપયોગ કરે છે, કહે છે કે, "હું જેલમાં રહેવા માંગતો ન હતો તેથી મેં 'ખાસ લશ્કરી કાર્યવાહી' માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, પરંતુ હું બહાર નીકળવા માંગતો હતો."
વાયરલ વીડિયોમાં મજોતી કહી રહ્યો છે કે 1 ઓક્ટોબરના રોજ ફ્રન્ટ લાઇન પર મોકલવામાં આવતા પહેલા તેને ફક્ત 16 દિવસની તાલીમ મળી હતી. તેના કમાન્ડર સાથે મતભેદ થયા પછી તેણે શરણાગતિ સ્વીકારવાનું નક્કી કર્યું. તે કહે છે, "હું લગભગ બે કે ત્રણ કિલોમીટર દૂર યુક્રેનિયન ખાઈ પર પહોંચ્યો."
પીટીઆઈના અહેવાલ મુજબ, હુસૈને વધુમાં કહ્યું હતું કે, "મેં તરત જ મારી રાઇફલ નીચે મૂકી દીધી અને કહ્યું, 'હું લડવા માંગતો નથી. મને મદદની જરૂર છે." એવા અહેવાલો આવ્યા છે કે ભારતીય નાગરિકોને રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા છે, દબાણ કરવામાં આવ્યું છે અથવા ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.
ગયા મહિને વિદેશ મંત્રાલયે પુષ્ટી કરી હતી કે ભારતે રશિયન સેનામાં સેવા આપતા 27 ભારતીયોને મુક્ત કરવા અને સ્વદેશ પરત મોકલવા માટે મોસ્કો પર દબાણ કર્યું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર, 2022માં યુદ્ધ શરૂ થયું ત્યારથી 150થી વધુ ભારતીયોની ભરતી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે રશિયાની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. અત્યાર સુધીમાં યુદ્ધમાં આશરે 12 ભારતીયો માર્યા ગયા છે, 96 રશિયન અધિકારીઓ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે અને 16 ગુમ છે.