નવી દિલ્હીઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાને લઇને ચીને હવે નરમ વલણ દાખવ્યું છે. આ મામલા પર ચીને કહ્યું કે, તે આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલવાના પ્રયાસ કરશે. જોકે, ચીને આ મામલે કોઇ સમયસીમા નક્કી કરી નથી. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના ચીન પ્રવાસના એક દિવસ બાદ ચીનનું આ નિવેદન મહત્વનું છે. આ અગાઉ ચીન અનેકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર વીટોનો ઉપયોગ કરી અડચણ ઉભી કરી હતી.


ચીને માર્ચમાં ચોથીવાર આ પ્રસ્તાવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલામાં જૈશનું નામ સામે આવ્યા બાદ ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, આ મામલા પર ચીને કહ્યું કે, આ મુદ્દાનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ મામલે યોગ્ય રીતે સમાધાન કાઢવામાં આવશે. તમામ સભ્યોની સહમતિ અને વાતચીત સાથે આગળ વધી શકાય છે. આ મામલે વાતચીત ચાલી રહી છે અને તેમાં કેટલીક પ્રગતિ પણ થઇ છે. ચીને કહ્યું કે- અમે સમજીએ છીએ કે આ મુદ્દે તમામ પક્ષ એકમત છે કે મુદ્દાનો ઉકેલ વાતચીતથી ઉકેલવામાં આવે. હાલ 1,267 સમિતિમાં આ મુદ્દે વિચાર ચાલી રહ્યો છે. જેમાં સકારાત્મક પ્રગતિ થઈ છે.