લાહોર: કોઈ પણ વિદેશી હુમલાની સ્થિતિમાં ચીને પાકિસ્તાનને પોતાનું સ્પષ્ટ સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું છે અને કાશ્મીર મુદ્દા પર ઈસ્લામાબાદના પક્ષનું પણ સમર્થન કર્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ પ્રકારનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. નિવેદનમાં લાહોરમાં ચીનના મહાવાણિજ્ય દૂત યૂ બોરેને કહ્યું હતું કે, કોઈ પણ વિદેશી હુમલાની સ્થિતિમાં અમારો દેશ પાકિસ્તાનને પુરો સહયોગ આપશે. ‘ડૉન’ પ્રમાણે, ચીને શુક્રવારે પંજાબના મુખ્યમંત્રી શાહબાઝ શરીફની સાથે પોતાના રાજદૂત સાથેની મુલાકાત દરમિયાન આ સંદેશ જાહેર કર્યો હતો. યૂએ મુખ્યમંત્રીને આશ્વાસન આપ્યું કે કાશ્મીર મુદ્દા પર અમે પાકિસ્તાનની સાથે છીએ અને રહેશે. નિઃશસ્ત્ર કાશ્મીરીઓ પર અત્યાચાર કરવાનો કોઈને અધિકાર નથી અને કાશ્મીર મુદ્દાનો હલ કાશ્મીરીઓની જરૂરિયાત પ્રમાણે થવો જોઈએ. ચીની દૂતની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરણસીમાએ છે.