COP26 World Leaders' Summit: ગ્લાસગોમાં COP26 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ વિશ્વ માટે ખતરો છે. તેમણે કહ્યું કે વિકાસશીલ દેશો ગ્લોબલ વોર્મિંગથી વધુ પ્રભાવિત છે. આ સાથે પીએમએ દેશમાં ચાલી રહેલી કેટલીક યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે નલ સે જલ, સ્વચ્છ ભારત મિશન અને ઉજ્જવલા જેવા પ્રોજેક્ટોએ ભારતમાં આપણા જરૂરિયાતમંદ નાગરિકોને અનુકૂલન લાભો જ પૂરા પાડ્યા નથી, પરંતુ તેમના જીવનસ્તરમાં પણ ફેરફાર થયો છે. 





PM મોદીએ કહ્યું, પછાત દેશોને વૈશ્વિક મદદની જરૂરિયાત છે. તે માટે વિકસિત દેશોને આગળ આવવું જરૂરી છે. દુનિયાએ હવે એડોપ્ટેશન પર ધ્યાન આપવાની જરૂર છે. જરૂરી છે કે ગ્લોબલ વોર્મિંગના મુદ્દે તમામ દેશો એકસાથે આવે અને આ ટોપિકને જનભાગીદારી અભિયાન બનાવે.  તેમણે કહ્યું કે ભારત સહિત મોટાભાગના વિકાસશીલ દેશોના ખેડૂતો માટે ક્લાઈમેટ એક મોટો પડકાર છે.


COP26 વર્લ્ડ લીડર્સ સમિટ અંતર્ગત વડાપ્રધાન મોદીએ બ્રિટનના PM બોરિસ જોનસન સાથે મુલાકાત કરી. મોદીએ સમિટના સફળ આયોજન માટે જોનસનને અભિનંદન આપ્યા. 


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ સમિટમાં પોતાની વાત રાખી હતી. અમેરિકાના રાષ્ટ્રરપતિ જો બાઇડેને કહ્યું અમારામાં રોકાણ કરવા અને એક સ્વચ્છ હવામાનવાળા ભવિષ્યના નિર્માણ કરવાની ક્ષમતા છે. આ પ્રક્રિયાથી દુનિયાભરમાં લાખો રોજગારીની તક ઊભી થશે. તેનાથી આપણાં બાળકો માટે સ્વચ્છ હવા, આપણાં ગ્રહ માટે સ્વસ્થ વન અને યોગ્ય વાતાવરણ તૈયાર થશે.


ગ્લાસ્ગો એરપોર્ટ પર ઊતરતાં જ PM મોદીએ ટ્વીટ કર્યું હતું કે, જળવાયુ પરિવર્તન રોકવા માટે ભારતની કોશિશ ચાલુ છે. આ મુદ્દે તેઓ વર્લ્ડ લીડર્સની સાથે કામ કરવા આતુર છે. COP-26 સમિટમાં સામેલ થવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો પહોંચ્યા હતા. ગ્લાસ્ગોમાં ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાન મોદીનું ભારત માતાની જયના નારાની સાથે સ્વાગત કર્યું હતું.