નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ફેલાવવા લાગ્યો છે. ચીનમાં અત્યાર સુધી વાયરસના કારણે 1800થી વધારે લોકોના મોત થયા છે. જોકે, આ બધાની વચ્ચે હવે પાડોશી દેશ ભારતમાં પણ કહેર અને ભયનો માહોલ સર્જાયો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના ત્રણ કેસ સામે આવી ચૂક્યા છે.


એક રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોના વાયરસ પીડિતોની કુલ સંખ્યા વધીને 72000થી પણ વધુ થઇ ગઇ છે. સૌથી વધુ હુબેઇ પ્રાંતના લોકો ઝપેટમાં આવ્યા છે. અહીં 1595 લોકોએ પોતાના જીવ પણ ગુમાવી દીધા છે, એટલુ જ નહીં લગભગ 1850 જેટલા નવા કેસ પણ નોંધાયા છે.

કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લેતા હવે ભારતે ખાસ એક્શન લેવાનુ શરૂ કર્યુ છે. રાજધાની દિલ્હીની મહર્ષિ વાલ્મિકી હૉસ્પીટલમાં કર્મચારીઓ માટે બાયૉમેટ્રિક એટેન્ડન્સ બંધ કરી દેવામાં આવી છે. બધા અધિકારીઓ અને કર્મચારીઓને હવે રજિસ્ટરમાં મેન્યૂઅલી હાજરી ભરવાનુ કહેવામાં આવ્યુ છે. કેમકે આ વાયરસ કોઇના પણ સંમર્કમાં આવવાથી ફેલાય છે.

ચીની આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, કોરોના વાયરસ સેવેરે એક્ટ્યૂ રેસ્પિરેટરી સિંડ્રોમ(સાર્સ)નું બીજુ સ્વરૂપ છે. જેના કારણે 2002-2003માં હોંગકોંગ અને ચીનમાં આ બીમારીથી 650 લોકોના મોત થયા હતા. તે સિવાય 120 લોકોનું દુનિયાભરમાં મોત થયું હતું. તાજેતરમાં જ ભારત સરકારે પણ ચીનથી આવતા લોકો માટે પોતાની ઈ વીઝા સુવિધા પર અસ્થાયી રોક લગાવી દીધી છે.