G20 Summit Latest News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લીધા બાદ ઇન્ડોનેશિયાના બાલીથી ભારત આવવા રવાના થયા છે. પીએમ મોદી બે દિવસીય G20 સમિટમાં ભાગ લેવા માટે બાલીમાં હતા. PM મોદીએ G-20 સમિટની સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, યુકેના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને અન્ય ઘણા વિશ્વના નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.






બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે આજે (16 નવેમ્બર) G20 સમિટમાં કહ્યું હતું કે, "તેઓ ભારત સાથે ટ્રેડ ડીલ માટે પ્રતિબદ્ધ છે." બાલીમાં G20 સમિટ દરમિયાન મીડિયા સાથેની વાતચીત દરમિયાન સુનકે એમ પણ કહ્યું હતું કે તેમનું માનવું છે કે બ્રિટન અને અમેરિકા તેમના આર્થિક સંબંધો સુધારી શકે છે પરંતુ મુલાકાત દરમિયાન તેમણે અમેરિકન પ્રમુખ જો બાઇડેન સાથે ટ્રેડ ડીલ અંગે કોઇ વાતચીત કરી નહોતી






G-20નું અધ્યક્ષપદ ભારતને સોંપવામાં આવ્યું


યુકેના વડાપ્રધાન ઋષિ સુનકનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇન્ડોનેશિયાએ બાલી સમિટમાં આગામી વર્ષ માટે G20નું અધ્યક્ષપદ ભારતને સોંપ્યું છે. સાથે જ પીએમ મોદીએ તેને દરેક ભારતીય નાગરિક માટે ગર્વની વાત ગણાવી છે. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું ક અમે મજબૂત ભારત-યુકે સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ. બાલીમાં પીએમ ઋષિ સુનકને મળવું ખૂબ સરસ હતું. અમે ભારતના સંરક્ષણ સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીને વેપાર સંબંધો, સુરક્ષા વધારવાની ચર્ચા કરી હતી.


ભારત-યુકેએ જાન્યુઆરીમાં FTA માટે વાટાઘાટો શરૂ કરી હતી


વાસ્તવમાં ભારત અને બ્રિટને જાન્યુઆરીમાં ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટે વાટાઘાટો શરૂ કરી હતી અને તેને 24 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. જોકે, બ્રિટનમાં રાજકીય સંકટના કારણે આ સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી. ભારત અને યુકે વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2020-21માં 13.2 બિલિયન ડોલરની સરખામણીએ 2021-22માં વધીને 17.5 બિલિયન ડોલર થશે. જ્યારે 2021-22માં ભારતની નિકાસ 10.5 બિલિયન ડોલર હતી, જ્યારે આયાત 7 બિલિયન ડોલર હતી.