Israel Hamas War Death: ઇઝરાયેલી સેના સતત ગાઝામાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી રહી છે. આ દરમિયાન ગાઝાના આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે ઇઝરાયેલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા છે, જેમના બીમાર થવાનું જોખમ રહેલું છે. તેમણે જણાવ્યું કે ઇઝરાયેલના વિમાનોએ હમાદ શહેરને નિશાન બનાવ્યું, જ્યારે દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં તોપોએ ઘણી રહેણાંક ઇમારતોને ઉડાવી દીધી. ગાઝા આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે છેલ્લા 24 કલાકમાં પેલેસ્ટીની વિસ્તારમાં થયેલા હુમલાઓમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે.


મૃત્યુ પામનારાઓની સંખ્યા 40 હજારને વટાવી


અલ જઝીરાના અહેવાલ મુજબ ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 40,005 લોકો માર્યા ગયા છે અને 92,401 ઘાયલ થયા છે. અહેવાલ મુજબ ગાઝામાં મારાયેલા કુલ લોકોમાંથી 33 ટકા એટલે કે 16,456થી વધુ બાળકો હતા. આમાંથી 18.4 ટકા (11,088) મહિલાઓ અને 8.6 ટકા વૃદ્ધો સામેલ હતા.


મધ્યસ્થી માટે આમંત્રણ અપાયું


ઇઝરાયેલ અને હમાસના નેતાઓ વચ્ચે ગુરુવારે (15 ઓગસ્ટ 2024) મધ્યસ્થીઓને લઈને નવા તબક્કાની વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું. આ વાતચીત 31 જુલાઈ 2024ના રોજ તેહરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હનિયાની હત્યા પછી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધેલી દુશ્મનાવટને ટાળવાના પ્રયાસ હેઠળ કરવામાં આવી છે. અહેવાલ મુજબ કતાર, મિસર અને અમેરિકાના આ મધ્યસ્થીમાં ભાગ લેવાની આશા છે. આ વાતચીતમાં ઇઝરાયેલ પણ ભાગ લઈ રહ્યું છે, આ વાતની પુષ્ટિ ઇઝરાયેલી અધિકારીઓએ કરી છે.


ગાઝામાં 40,000 લોકોના મોત પર અમેરિકા સ્થિત શાંતિ સંગઠન ફેલોશિપ ઓફ રિકન્સિલિએશને કહ્યું કે આપણા હાથ લોહીથી રંગાયેલા છે. અમેરિકન શાંતિ જૂથે ઇઝરાયેલને વધારાના 20 બિલિયન ડોલરના હથિયારોના વેચાણને મંજૂરી આપવા બદલ જો બાઇડેનની સરકારની ટીકા કરી છે. અહેવાલ મુજબ અમેરિકન શાંતિ જૂથના કાર્યકારી નિર્દેશક એરિયલ ગોલ્ડે કહ્યું કે આ યુદ્ધ અને ત્રાસદી જેટલી ઇઝરાયેલની છે, એટલી જ અમેરિકાની પણ છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં આપણા હાથ લોહીથી રંગાયેલા છે.


ઈઝરાયેલ ગાઝા પર સંપૂર્ણ કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે એક નવી જાહેરાત કરી છે. તુર્કીની સંસદને સંબોધિત કરતા મહમૂદ અબ્બાસે કહ્યું કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે તેઓ ચોક્કસપણે ગાઝા જશે. ભલે તેનો જીવ જાય. ગાઝા સંકટને સમાપ્ત કરવા માટે અબ્બાસ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથે વાતચીત માટે પહોંચ્યા છે. આવી સ્થિતિમાં સમગ્ર વિસ્તાર પર ગોળીબાર કરતું ઇઝરાયેલ શું કરશે?


આ પણ વાંચોઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાનો હુંકાર - હું જલ્દી પાછી આવીશ