IAF Air Strike : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે પણ પાકિસ્તાનમાં 90 કિલોમીટર અંદર ઘુસી બાલાકોટમાં એરસ્ટ્રાઈક હાથ ધરી હતી. જેના પડઘા દુનિયાભરમાં પડ્યા હતાં. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન રીતસરનું ફફડી ગયું હતું તેનો પુરાવો સામે આવ્યો છે. 27 ફેબ્રુઆરી 2019ના રોજ, ભારતીય વાયુસેના (IAF)એ પાકિસ્તાનના એ પ્રયાસનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન એરફોર્સના જેટને ભારતીય સરહદ પર મોકલવામાં આવ્યા હતા. તેનો હેતુ ભારતના સૈન્ય મથકો, ડેપો અને એરફોર્સ બેઝને નિશાન બનાવવાનો હતો. જોકે IAFએ પાકિસ્તાની જેટ્સને પણ યોગ્ય જવાબ આપ્યો હતો અને વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના F-16 યુદ્ધ વિમાનને મિગ-21 વતી તોડી પાડ્યું હતું. જોકે ગ્રુપ કેપ્ટન અભિનંદનનું જુનુ એવુ મિગ-21 જેટ ક્રેશ થયું હતું અને તે પાકિસ્તાન સરહદમાં જઈ ક્રેસ થઈ ગયું હતું. ભારતની આ કાર્યવાહીથી દુનિયાભરમાં પાકિસ્તાનનું અપમાન થયું હતું, ત્યારે હુમલાના ડરથી ગ્રુપ કેપ્ટન અભિનંદનને છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાનો પર્દાફાસ કોઈ બીજા નહીં પણ પાકિસ્તાનના જ એક સાંસદે કર્યો છે. 


સાંસદનો વીડિયો વાયરલ થયો હતો


પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અયાઝ સાદિક સાંસદે દેશનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે અભિનંદનને 27 ફેબ્રુઆરીએ કેદ કરવામાં આવ્યો ત્યારે વાતાવરણ કેવું હતું તેનું સાદિકે વર્ણન કર્યું હતું. દેશની તત્કાલીન ઈમરાન સરકારે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ અભિનંદનને મુક્ત કર્યો હતો. સાદિકનો જે વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે તે ઓક્ટોબર 2020નો છે. સાદીકે કહ્યું હતું કે, તમે શું વાત કરો છો, શાહ મહેમૂદ કુરેશી એ મીટિંગમાં હતા જેમાં પીએમએ હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ આર્મી ચીફ બેઠકમાં આવ્યા હતા. આર્મી ચીફના પગ ધ્રૂજતા હતા, કપાળ પર પરસેવે રેબઝેબ હતા અને વિદેશ મંત્રી શાહ મહેમૂદે અમને કહ્યું હતું કે, ભગવાનના ખાતર તેમને (અભિનંદનને) પાછા છોડી મુકો કારણ કે, નવ વાગ્યે ભારત પાકિસ્તાન પર હુમલો કરવા જઈ રહ્યું છે.'


પાકિસ્તાને ફેબ્રુઆરી 2019માં બાલાકોટ એર સ્ટ્રાઈકના બીજા દિવસે 27 ફેબ્રુઆરીએ ભારતને જવાબ આપવા માટે 'ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ' શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ પાકિસ્તાન એરફોર્સ (PAF)ના F-16 ફાઈટર જેટ જમ્મુ-કાશ્મીરની સરહદમાં ઘૂસી ગયા હતા. જવાબમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન પાયલટ અભિનંદને પાકિસ્તાનના એક F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું.


મિસાઇલ હુમલાનો ડર


અયાઝ સાદિક પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PMLN)ના સંસદ સભ્ય છે. સાદિકે કહ્યું હતું કે, ભારત તરફથી મિસાઈલ હુમલાના ડરને કારણે પાકિસ્તાન સરકારે ગ્રુપ કેપ્ટન અભિનંદનને તેમના દેશમાં પાછા મોકલવાનો નિર્ણય લીધો હતો. સાદીકે કહ્યું હતું કે, ઈમરાન સરકારે જે રીતે આ સમગ્ર મામલાને હેન્ડલ કર્યો તે ખરેખર નિરાશાજનક છે. 56 કલાક પછી તેને મુક્ત કરવામાં આવ્યો અને પાકિસ્તાનની વાસ્તવિકતા પણ સામે આવી. અભિનંદનને મુક્ત કરવામાં દેશે પીઠ ફેરવી હતી. પરંતુ હવે વાસ્તવિકતા સામે આવી છે. તે સમયે પાકિસ્તાની સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવા હતા.


શાહબાઝે PAFની પીઠ થપથપાવી


જ્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફ આ પાઠ ભણ્યા બાદ પણ PAFની પીઠ થપથપાવી રહ્યા છે. એક ટ્વિટમાં તેમણે પોતાના સૈન્ય શક્તિશાળી ગણાવ્યું છે. શરીફે ટ્વીટ કરીને લખ્યું કે, આજે આપણે સમૃદ્ધ PAFને યાદ કરીએ છીએ જેમણે નકલી પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના એરસ્પેસનું ઉલ્લંઘન કરવા બદલ ભારતને યોગ્ય જવાબ આપ્યો. આપણો ઉદ્દેશ્ય સૌકોઈ સાથે શાંતિ જાળવી રાખવાનો છે, દેશની રક્ષા કરવી એ આપણી નૈતિક ફરજ છે.