ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારની બનતી ઘટનાઓમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે અને  પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભગવાન કૃષ્ણના મંદિરના પાયા કટ્ટરવાદીઓએ ઉખાડી ફેંક્યા છે.


ઈસ્લામાબાદમાં બનનારા આ કૃષ્ણ મંદિરનો શિલાન્યાસ થોડા સમય પહેલાં જ થયો હતો. ઈમરાન ખાને એ વખતે મોટા ઉપાડે આ મંદિરને મદદની જાહેરાત કરી હતી પણ મંદિરના પાયા કટ્ટરવાદી ધાર્મિક જૂથોએ તોડી નાખતાં ખળભળાટ મચ્યો છે. આ મંદિરનું નિર્માણ પાકિસ્તા સરકારનું રાજધાની વિકાસ સત્તામંડળ કરી રહ્યું હતું.

વડાપ્રધાન ઇમરાને મંદિરનિર્માણ માટે 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી, જેનો ઘણી કટ્ટરવાદી ધાર્મિક સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. તેમણે મંદિરને ઇસ્લામવિરોધી ગણાવ્યું છે. જામિયા અશર્ફિયાના મુફ્તી જિયાઉદ્દીને ફતવો જારી કરીને કહ્યું હતું કે બિનમુસ્લિમો માટે મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ બનાવવા સરકારી નાણા ખર્ચ ન કરી શકાય.

આ મંદિરના નિર્માણ સામે મુસ્લિમ કટ્ટરવાદી મૌલવીઓએ ફતવો જારી કર્યો હતો, જેના પગલે વડાપ્રધાન ઇમરાન ખાને બે દિવસ અગાઉ મંદિરનું કામ રોકવા આદેશ આપ્યો હતો. સરકારે મંદિરનિર્માણ અંગે ઇસ્લામિક આઇડિયોલોજી કાઉન્સિલની સલાહ લેવાનું નક્કી કર્યું છે.

પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ધાર્મિક પાસાં ચકાસ્યા બાદ મંદિરનિર્માણ અંગે નિર્ણય લેવાશે. આ મંદિર 20 હજાર સ્ક્વેર ફૂટમાં બનવાનું છે. મંદિરનું નિર્માણ છેલ્લાં  3 વર્ષથી અટકેલું હતું. થોડાં દિવસ અગાઉ જ મંદિરનો શિલાન્યાસ થયો હતો.