Israel Palestine Conflict: હમાસ અને ઈઝરાયેલ વચ્ચે 11મા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. ગાઝા પટ્ટીથી કાર્યરત ઉગ્રવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર ઘાતક હુમલો કર્યો હતો, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં 4200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.


બ્રિટનમાં પેલેસ્ટિનિયન મિશનના વડા હુસામ જોમલોટે કહ્યું છે કે ગાઝામાં વાસ્તવિક મૃત્યુઆંક ઘણો વધારે છે કારણ કે બચાવ દળ હજુ કાટમાળ નીચે ફસાયેલા લોકો સુધી પહોંચી શકી નથી. તેમણે આ યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાની આશંકા વ્યક્ત કરી છે. 


ઈઝરાયેલની સેના ગાઝામાં જમીની હુમલો કરવાની તૈયારી કરી રહી છે. આ પહેલા ઈઝરાયેલની સેનાએ ઉત્તરી ગાઝામાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ચેતવણી આપી હતી. જેના કારણે મોટી સંખ્યામાં વિસ્થાપન જોવા મળ્યા હતા.


લેબનાની સરહદેથી ઉત્તરી ઈઝરાયેલમાં છૂટાછવાયા હુમલા થઈ રહ્યા છે


યુદ્ધ સતત ઉગ્ર બની રહ્યું છે. હમાસને લેબનાની સરહદ પરથી ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહનું સમર્થન મળી રહ્યું છે. હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ સરહદ પર છૂટાછવાયા હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે, જેનો ઇઝરાયેલની સેના જવાબ આપી રહી છે.


મંગળવારે, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે " લેબનાનથી આજે ઉત્તરી ઈજરાયલ તરફ એક એન્ટી ટેન્ક મિસાઈલ છોડવામાં આવી. આઈડીએફના બે લોકો ઘાયલ થયા છે.  આ સાથે ઈઝરાયેલે કહ્યું કે તેની સેનાએ લેબનોનથી સરહદ પાર કરી રહેલા 4 આતંકવાદીઓને ઠાર કર્યા છે.


બુધવારે ઇઝરાયલ પહોંચશે જો બાઈડેન


આ દરમિયાન કેટલાક દેશો મધ્યસ્થીની વાત કરી રહ્યા છે. ભારત, અમેરિકા, બ્રિટન અને યુક્રેન જેવા કેટલાક દેશોએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. અમેરિકા આ ​​યુદ્ધમાં ઊંડો રસ લઈ રહ્યું છે. આ યુદ્ધની વચ્ચે તેના રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી ઈઝરાયેલની મુલાકાતે ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેઓ હમાસ દ્વારા કરવામાં આવેલા ઘાતકી આતંકવાદી હુમલા સામે એકતા દર્શાવવા બુધવારે (18 ઓક્ટોબર) ઇઝરાયેલની મુલાકાત લેશે.


ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું- હમાસ પાસે બે વિકલ્પ છે...


તમને જણાવી દઈએ કે આ યુદ્ધમાં હમાસ અને ઈઝરાયેલ બંનેએ એકબીજાને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મંગળવારે (17 ઓક્ટોબર) ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે જણાવ્યું હતું કે, "હમાસના સભ્યો પાસે બે વિકલ્પ છે - કાં તો તેમની સ્થિતિ પર મૃત્યુ પામે અથવા બિનશરતી આત્મસમર્પણ કરે." ત્રીજો કોઈ વિકલ્પ નથી."