Japan earthquake 7.6 magnitude: સોમવારની રાત જાપાન માટે ડરામણી સાબિત થઈ છે. જાપાનના ઉત્તરીય દરિયાકાંઠાના વિસ્તારોમાં 7.6 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ શક્તિશાળી આંચકા બાદ જાપાન મિટિરોલોજીકલ એજન્સી (JMA) એ તાત્કાલિક અસરથી સુનામીની ચેતવણી જારી કરી છે. દરિયામાં 3 મીટર એટલે કે લગભગ 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે દરિયાકાંઠાના રહીશોને સુરક્ષિત સ્થળે ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Continues below advertisement

રાત્રે 11:15 વાગ્યે ધરા ધ્રૂજી: આઓમોરીમાં કેન્દ્રબિંદુ

સોમવાર, 8 ડિસેમ્બર, 2025 ના રોજ રાત્રે અંદાજે 11:15 વાગ્યે જાપાનના આઓમોરી પ્રીફેક્ચરના પૂર્વીય તટ પર ધરતી ધ્રૂજી ઉઠી હતી. જાપાન હવામાન એજન્સીના ડેટા મુજબ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.6 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ દરિયાની સપાટીથી નીચે આશરે 50 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું મનાય છે. આઓમોરીના હાચિનોહે શહેરમાં આંચકાની તીવ્રતા જાપાનીઝ સિસ્મિક સ્કેલ પર ‘અપર-6’ જેટલી અનુભવાઈ હતી, જે અત્યંત ગંભીર માનવામાં આવે છે.

Continues below advertisement

સુનામીનું સંકટ: 10 ફૂટ ઊંચા મોજાની આગાહી

ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હોવાને કારણે સુનામીનું જોખમ વધી ગયું છે. JMA એ આઓમોરી, ઈવાતે અને હોક્કાઈડો પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો માટે ગંભીર સુનામી ચેતવણી જારી કરી છે. એજન્સીના અનુમાન મુજબ, આ વિસ્તારોમાં સુનામીના મોજા 3 મીટર (લગભગ 10 ફૂટ) સુધી ઊંચા ઉછળી શકે છે. ભૂતકાળમાં પણ આ ઉત્તર-પૂર્વીય તટ સુનામીનો ભોગ બની ચૂક્યો હોવાથી તંત્ર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી.

લોકોને તાત્કાલિક ઊંચાઈવાળા સ્થળે ખસી જવા અપીલ

સંભવિત હોનારતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ઇશિકાવા પ્રીફેક્ચર અને તેની આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ટીવી ચેનલો અને લાઉડ સ્પીકર દ્વારા સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને દરિયાકાંઠો છોડીને તાત્કાલિક ઊંચી જમીન પર અથવા સુરક્ષિત ઇમારતોમાં આશ્રય લેવાની વિનંતી કરવામાં આવી છે.

બચાવ કામગીરી અને ઈમરજન્સી સેવાઓ એલર્ટ

ભૂકંપ બાદ તરત જ જાપાન સરકારે બચાવ અને રાહત કામગીરી માટેની તૈયારીઓ આરંભી દીધી છે. ઈમરજન્સી રિસ્પોન્સ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. જોકે, સદનસીબે અત્યાર સુધી જાનહાનિના કોઈ સત્તાવાર સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ રાતનો સમય હોવાથી નુકસાનનો સાચો અંદાજ સવારે જ આવી શકશે. હાલમાં સમગ્ર જાપાનમાં ભયનો માહોલ છે અને લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે.