બૈરૂતઃ બૈરૂતમાં ગયા સપ્તાહે થયેલા ભયંકર વિસ્ફોટ પછી વડાપ્રધાન સહિત આખા મંત્રી મંડળે રાજીનામાં આપી દેતાં 70 લાખની વસતી ધરાવતો આ દેશ હવે ધણીધોરી વગરનો બની ગયો છે. બીજી તરફ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ અને તપાસ ચાલુ છે. આ કેસમાં લશ્કરના જનરલોની પણ પૂછપરછ થશે એમ મનાય છે. .


લેબનોનના કાયદા અનુસાર દેશના 20 પ્રધાનોમાંથી સાત પ્રધાનો રાજીનામા આપે તો સરકાર માત્ર રખેવાળ સરકાર જ બની જાય છે. આ કિસ્સામાં તો આખા પ્રધાનમડળે રાજીનામું ધરી દેતાં દેશ હવે ભગવાન ભરોસે છે. લેબેનોનની રાજધાની બૈરૂતમાં ચોથી ઓગસ્ટે બંદર પરના એક ગોડાઉનમાં એમોનિયા નાઇટ્રેટમાં જોરદાર ધડાકો થતાં 157 લોકો માર્યા ગયા હતા અને 6000 ઉપરાંત લોકો ઘાયલ થયા હતા. દેશના મુખ્ય બંદરને જંગી નુકસાન થયું હતું.

ભયંકર વિસ્ફોટમાં બૈરૂતનો 160 વર્ષ જુના સલ્તન એ ઉસ્માનિયા સમયનો મહેલ પણ ધરાશાયી થયો હતો. બંને વિશ્વ યુધ્ધમાં અડિખમ આ મહેલે લેબનોનની આઝાદી પણ જોઇ હતી. બીજી તરફ અનેક દેશોએ લેબનોનને ફરીથી બેઠું કરવા 30 કરોડ ડોલરના દાનની ઓફર કરી હતી અને શરત પણ મૂકી હતી કે લેબનોને આર્થિક તેમજ રાજકીય સુધારા કરવા પડશે.