નવી દિલ્હી: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો છે કે, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં શામેલ થશે. મનમોહન સિંહે આ સમારોહમાં આવવાની સહમતિ દર્શાવી હોવાનો કુરેશીએ ખુલાસો કર્યો હતો.


કુરેશીએ પાકિસ્તાનની એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના બદલે સામાન્ય વ્યક્તિની જેમ આવવાની વાત કરી છે.

મંત્રી મહેમૂદ કુરેશીએ કહ્યું હતું કે, મેં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને આમંત્રિત કર્યાં હતાં. હું તેમનો આભારી છું કે ત્યારબાદ તેમણે મને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ કરતારપુર આવશે પણ મુખ્ય અતિથિ તરીકે નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિની જેમ. જો તેઓ સામાન્ય વ્યક્તિની જેમ પણ આવે છે તો અમે તેમનું સ્વાગત કરીશું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ઈમરાન સરકારના આમંત્રણનો સ્વીકાર કર્યો નથી. આ અગાઉ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ અને મનમોહનસિંહ કોઈ પણ અતિથિ તરીકે પાકિસ્તાન જશે. તેઓ માત્ર કરતારપુર જનારા સર્વદળીય જૂથમાં સામેલ થશે.