Nimisha Priya News: યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. ભારતના ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબૂબકર મુસલિયારના કાર્યાલયે આ માહિતી આપતું નિવેદન બહાર પાડ્યું છે. જોકે, નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યમનની સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર લેખિત પુષ્ટી મળી નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા, જે અગાઉ સ્થગિત કરવામાં આવી હતી, હવે તે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, ગ્રાન્ડ મુફ્તીના કાર્યાલયે જણાવ્યું હતું કે યમનની રાજધાની સનામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિમિષા પ્રિયાનો કેસ વર્ષ 2018થી આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સમાં છે. નિમિષા પર તેના બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો અને પછી શરીરના ટુકડા કરવાનો આરોપ છે. તેણીને માર્ચ 2018માં હત્યાનો દોષિત ઠેરવવામાં આવી હતી અને 2020માં યમનની કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
કેરળની 34 વર્ષીય નર્સ નિમિષા પ્રિયા મૂળ પલક્કડ જિલ્લાની છે. 2008માં નિમિષા નોકરીની શોધમાં યમન ગઈ હતી. તે એક ખ્રિસ્તી પરિવારની છે. યમનની રાજધાની સનામાં તેણી એક સ્થાનિક નાગરિક તાલાલ અબ્દો મહદીને મળી, જેની સાથે તેણીએ ભાગીદારીમાં ક્લિનિક શરૂ કર્યું. થોડા સમય પછી તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહદીએ નિમિષાને હેરાન કરવાનું શરૂ કર્યું અને જાહેરમાં પોતાને તેનો પતિ કહેવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેણે નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો જેથી તે ભારત પાછી ન ફરી શકે.
યમનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિમિષાએ 2017માં કથિત રીતે તેનો પાસપોર્ટ પાછો મેળવવા માટે મહદીને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ જીવલેણ સાબિત થયો. કારણ કે મહદીનું મૃત્યુ સંભવિત ઓવરડોઝથી થયું હતું. આ પછી યમનના અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી.
2018માં તેને હત્યાની દોષિત ઠેરવવામાં આવી હતી અને 2020માં યમનની એક કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સમાં રહ્યો હતો. માનવાધિકાર સંગઠનો અને સામાજિક કાર્યકરોએ તેની સજા સામે ઝૂંબેશ શરૂ કરી હતી.