નવી દિલ્હીઃ આતંકી ઓસામા બિન લાદેનનો દીકરો હમજા બિન લાદેન માર્યો ગયો હોવાના રિપોર્ટ છે. ઓસામા  બિન લાદેન આતંકી સંગઠન અલ કાયદાનો વડો હતો અને  હમજાને ઓસામાનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો હતો. જોકે, અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હજુ સુધી હમજાના  મોતની પુષ્ટી થઇ શકી નથી. હમજાનું મોત કેવી રીતે અને ક્યાં થયું તે હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી. હમજાના મોતમાં અમેરિકાનો હાથ છે કે નહી તે પણ સ્પષ્ટ થઇ શક્યું નથી. જોકે, અમેરિકન જાસૂસી અધિકારીઓ હમજાના મોતના દાવો કર્યો છે. 2015માં લાદેના દીકરા હમજા બિન લાદેનને અમેરિકાને ધમકી આપી હતી કે તે પોતાના પિતાના મોતનો બદલો લેવા માટે અમેરિકા પર હુમલો કરશે. ત્યારબાદ અમેરિકાએ તેના પર 10 લાખ ડોલર (લગભગ સાત કરોડ રૂપિયા)નું ઇનામ રાખ્યુ હતું.


ઉલ્લેખનીય છે કે 2,મે 2011ના રોજ પાકિસ્તાનના એબેટાબાદમાં અમેરિકી  સીલ કમાન્ડોએ ઓસામા  બિન લાદેનને માર્યો હતો. અલ કાયદા ચીફ અયમન અલ જવાહીરે 2015માં પ્રથમવાર હમજાને દુનિયા સામે લાવ્યો હતો. હમજાએ તે સમયે અમેરિકાને પોતાના પિતાની હત્યાનો બદલો લેવાની ધમકી આપી હતી અને તબાહી મચાવવાની કસમ આપી હતી.

વર્ષ 2017માં હમજાને અમેરિકન ગૃહ મંત્રાલયે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. સાથે અમેરિકાએ હમજા પર 10 લાખ ડોલરનું ઇનામ  રાખ્યુ હતું. જોકે, 2018 બાદથી હમજાનો કોઇ નિવેદન દુનિયા સામે આવ્યું નથી. અમેરિકાના પ્રતિબંધ બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ માર્ચ 2019માં હમજાના નામને પ્રતિબંધિત આતંકીઓની યાદીમાં મુક્યો હતો અને તેની ધરપકડ માટે ઇન્ટરપોલ નોટિસ જાહેર કરી હતી. આ પ્રતિબંધ  બાદ હમજાના યાત્રા પર પ્રતિબંધ મુકાયો હતો. તેની તમામ સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી હતી.