Pakistan Bomb Blast: પાકિસ્તાનમાં શુક્રવારે (29 સપ્ટેમ્બર) એક પછી એક થયેલા બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 56 લોકો માર્યા ગયા અને 102 લોકો ઘાયલ થયા છે. પહેલો બ્લાસ્ટ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના મસ્તુંગ વિસ્તારમાં થયો હતો, જેમાં 52 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. તો બીજી તરફ, બીજો બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની હંગુ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન થયો હતો. ડોનના અહેવાલ મુજબ 4 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે.


રિપોર્ટ અનુસાર વિસ્ફોટ સમયે મસ્જિદમાં 30 થી 40 નમાઝીઓ હાજર હતા. હંગુ જિલ્લા પોલીસ અધિકારી નિસાર અહેમદે મૃતકો અને ઘાયલોની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે મસ્જિદમાં શુક્રવારનું પ્રવચન ચાલી રહ્યું હતું ત્યારે બ્લાસ્ટ થયો હતો.


કાટમાળ નીચે અનેક લોકો દટાયા
એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટને કારણે મસ્જિદની છત તૂટી પડી હતી અને લગભગ 30 થી 40 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે કાટમાળમાંથી મૃતદેહો અને ઘાયલોને કાઢવા માટે ભારે મશીનરી બોલાવવામાં આવી છે.


 






બલૂચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટમાં 52ના મોત
આ પહેલા બલુચિસ્તાન પ્રાંતમાં એક મસ્જિદ પાસે આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ અંગે પોલીસે કહ્યું કે આ એક આત્મઘાતી વિસ્ફોટ હતો. તેણે જણાવ્યું કે શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો.


મદીના મસ્જિદ પાસે હુમલો
મસ્તુંગના એડિશનલ કમિશનર અતા-ઉલ-મુનીમે ડૉનને જણાવ્યું હતું કે અલફલાહ રોડ પર મદીના મસ્જિદ પાસે મિલાદ ઉન-નબીના જુલૂસ માટે લોકો ભેગા થઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.


ઇજાગ્રસ્તોને અપાઈ રહી છે સારવાર
આ મામલે શહીદ નવાબ ગૌસ બખ્શ રાયસાની મેમોરિયલ હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. સઈદ મીરવાનીએ જણાવ્યું કે હોસ્પિટલમાં ડઝનેક લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 20થી વધુ ઘાયલ લોકોને ક્વેટા રિફર કરવામાં આવ્યા છે. હાલ કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. તો બીજી તરફ, પાકિસ્તાની તાલિબાને તરત જ તેનાથી પોતાની જાતને અળગી રાખી છે.