Pakistan: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ વડાપ્રધાન શહબાઝ શરીફની ભલામણ પર બુધવારે અડધી રાત્રે સંસદ ભંગ કરી દીધી હતી. સંસદનું નીચલું ગૃહ નેશનલ એસેમ્બલી તેની પાંચ વર્ષની બંધારણીય મુદત પૂરી થવાના ત્રણ દિવસ પહેલા જ ભંગ કરી દેવામાં આવી છે. આ સાથે જ શહબાઝ શરીફ સરકારનો કાર્યકાળ પૂરો થયો હતો.






સંસદને ભંગ કરવાને લઇને જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, બંધારણની કલમ 58 હેઠળ નેશનલ એસેમ્બલી ભંગ કરવામાં આવી છે. સંસદનો પાંચ વર્ષનો કાર્યકાળ સત્તાવાર રીતે 12 ઓગસ્ટે સમાપ્ત થવાનો હતો.


નોંધનીય છે કે શહબાઝ શરીફે રાષ્ટ્રપતિ અલ્વીને પત્ર લખીને સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. કલમ 58 હેઠળ જો રાષ્ટ્રપતિ સંસદને ભંગ કરવાની વડાપ્રધાનની ભલામણના 48 કલાકની અંદર સંસદ ભંગ નહી કરે તો તે આપોઆપ ભંગ થઈ જશે.






વચગાળાના વડાપ્રધાનનું નામ ત્રણ દિવસમાં નક્કી કરાશે


બંધારણ મુજબ શહબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા પાસે કાર્યકારી વડાપ્રધાનનું નામ નક્કી કરવા માટે ત્રણ દિવસનો સમય છે. જો કાર્યકારી વડાપ્રધાન માટેના નામ પર સહમતિ નહી થાય તો  આ મામલો વિધાનસભાના અધ્યક્ષ દ્ધારા રચાયેલી સમિતિને મોકલવામાં આવશે. આ સમિતિ ત્રણ દિવસમાં કાર્યકારી વડાપ્રધાનના નામ પર મંજૂરી આપશે. પરંતુ જો કમિટી પણ નિર્ધારિત સમયમાં નિર્ણય લેવામાં અસમર્થ રહેશે તો વચગાળાના પીએમ માટેના ઉમેદવારોના નામ ચૂંટણી પંચને મોકલવામાં આવશે. ચૂંટણી પંચ બે દિવસમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે.


આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે બુધવારે સંસદના નીચલા ગૃહના વિદાય સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ગુરુવારે નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા રાજા રિયાઝને મળશે, જેથી તેઓ કાર્યકારી વડાપ્રધાનના નામ પર ચર્ચા કરશે.


શરીફે કહ્યું હતું કે ત્રણ દિવસનો સમય છે, જે દરમિયાન સાથે મળીને ચર્ચા કરવામાં આવશે. જો ત્રણેય નામો પર સર્વસંમતિ નહીં સધાય તો કાર્યકારી વડાપ્રધાન માટેના નામો પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) પાસે જશે. પાકિસ્તાનના બંધારણ અનુસાર, એસેમ્બલી ભંગ થયાના ત્રણ મહિનાની અંદર ચૂંટણીઓ થવી જોઈએ. જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી કેરટેકર સરકાર દેશનું કામકાજ સંભાળશે. જો કે કેરટેકર પીએમ કોણ હશે તેનું નામ હજુ નક્કી થયું નથી. નિયમો અનુસાર જ્યાં સુધી કેરટેકર પીએમની નિમણૂક નહીં થાય ત્યાં સુધી શહબાઝ શરીફ વડાપ્રધાન રહેશે.