Pakistan Suprime Court : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)ને બરાબરની ફટકાર લગાવી છે. ખરેખર, ઈમરાન ખાનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 


પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને એક જ કલાકમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કહ્યું હતું કે, આ સમય ભવિષ્ય માટે એક દાખલો બેસાડવાનો છે. પાકિસ્તાનને જેલ નહીં બનવા દઈએ. તપાસ એજન્સી NAB એ દેશને ઘણું નુકશાન પહોંચાડ્યું છે.


સુપ્રીમ કોર્ટે NABને પૂછ્યું, કાયદો હાથમાં લેવાની શું જરૂર છે?


પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ઈમરાન ખાનની ધરપકડ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પીટીઆઈ અધ્યક્ષની ધરપકડ પર ત્રણ સભ્યોની બેંચ સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ ઉપરાંત ચીફ જસ્ટિસ અલી મઝહર અને જસ્ટિસ અતહર મિનાલ્લાહ અલ કાદિર ટ્રસ્ટમાં ઈમરાનની ધરપકડની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ઈમરાનની ધરપકડ કાયદેસર છે કે ગેરકાયદે? જસ્ટિસ મિનાલ્લાહે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)ને ફટકાર લગાવી હતી. નેબને સણસણતો સવાલ કરવામાં આવ્યો હતો કે, તેને કાયદો હાથમાં લેવાની શું જરૂર હતી?


ઈમરાનની ધરપકડ ગેરકાયદેસર, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય


ઈમરાનની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરતાની સાથે જ સુપ્રીમ કોર્ટે પીટીઆઈના અધ્યક્ષને એક કલાકમાં હાજર થવા કહ્યું હતું. ઈમરાનની મુક્તિ પર સુપ્રીમ કોર્ટ આજે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસે ઈમરાન ખાનને એક કલાકમાં કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. ઈમરાન ખાનની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટ ખૂબ જ કડકાઈભર્યું વલણ દાખવી રહી છે. કોર્ટે કહ્યું હતું કે, ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરીને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું હતું કે, કોર્ટમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. 


ધરપકડ પહેલા પરવાનગી લેવી જરૂરી


ઈમરાન ખાનની ધરપકડ પર કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોય તો તેની ધરપકડ કરવાનો શું અર્થ છે? આ રીતે ભવિષ્યમાં ન્યાય માટે કોર્ટમાં પણ કોઈ પોતાને સુરક્ષિત નહીં માને? મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ધરપકડ પહેલા રજિસ્ટ્રાર પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી.


સુપ્રીમ કોર્ટે NABને ફટકાર લગાવી


ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે પીટીઆઈ ચીફ ઈમરાન ખાનની અરજી પર સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ મોહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતહર મિનાલ્લાહને બેન્ચમાં સામેલ હતાં. આ દરમિયાન જસ્ટિસ અતહર મિનાલ્લાહે ટિપ્પણી કરી હતી કે, NAB ઘણા વર્ષોથી આમ કરી રહી છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ધરપકડ કરવામાં આવી રહી છે, આ પ્રક્રિયા બંધ થવી જોઈએ. કોર્ટે NABને પૂછ્યું છે કે, કોર્ટમાંથી કોઈની ધરપકડ કેવી રીતે થઈ શકે? સુનાવણીની બેંચે કહ્યું હતું કે, કોર્ટમાંથી કોઈની ધરપકડ કરી શકાય નહીં. NABએ કોર્ટનું અપમાન કર્યું છે. 


સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યું હતું કે, કુલ કેટલા લોકોએ મળીને ઈમરાન ખાનની ધરપકડ કરી? જેના પર ઈમરાન ખાનના વકીલ સલમાન સફદરે કહ્યું હતું કે, લગભગ 80 થી 100 લોકોએ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો યુનિવર્સિટીની જમીન સાથે જોડાયેલો છે. આ કેસમાં ઈમરાન ખાનની સાથે તેની પત્ની બુશરા બીવીનું નામ પણ સામેલ છે. જો કે હજુ સુધી તેની પત્નીની ધરપકડ કરવામાં આવી નથી.