નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર પર ઇન્ટરનેશનલ સ્તર પર હાર મળ્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સતત નવા ષડયંત્ર રચી રહ્યા છે.  ‘કાશ્મીર ઓવર’ બાદ હવે ઇમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં શુક્રવારે એક મોટી રેલીમાં કહ્યું કે, UNGAમાં કાશ્મીર મામલો ફરીથી ઉઠાવીશું. આર્થિક હિતોના કારણે મુસ્લિમ દેશોએ આ મામલા પર અમારો સાથ આપ્યો નથી. પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક રેલીમાં વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યુ કે, હું સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મામલો ઉઠાવીશું અને આખી દુનિયાને આ અંગેની જાણકારી આપીશું. વધુમાં તેમણે કહ્યું કે, કાશ્મીર મામલા પર પાકિસ્તાનને મુસ્લિમ દેશોનું સમર્થન મળ્યું નથી કારણ કે ભારત સાથે તેમના આર્થિક હિતો જોડાયેલા છે. પરંતુ મુસ્લિમ દેશોના સવા અબજ મુસ્લિમો તેને જોઇ રહ્યા છે.

ઇમરાન ખાને કહ્યું કે, હું જાણુ છુ કે તમારામાંથી અનેક લોકો લાઇન ઓફ કંન્ટ્રોલ પાર કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હું આજે તમને કહું છું કે હાલમાં લાઇન ઓફ કંન્ટ્રોલ પાર કરવાની જરૂર નથી. તમે લોકો ત્યારે લાઇન ઓફ કંન્ટ્રોલ જશો જ્યારે હું તમને જવા માટે કહું. ઇમરાને કહ્યું કે, જ્યારે તમે ભારતીય મુસલમાનોને એ સંદેશ આપશો કે ભારત ફક્ત હિંદુઓ માટે નથી તો તમે અતિવાદ તરફ જશો. એટલા માટે હું ઇન્ટરનેશનલ સમુદાયને કહું છુ કે તે ભારતના હિટલરને રોકે.