કાશ્મીર પર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાને બતાવ્યો જેહાદનો ડર, કહ્યુ-મુસ્લિમ દેશોમાં વધશે કટ્ટરતા
abpasmita.in | 15 Aug 2019 04:07 PM (IST)
ઇમરાન ખાને ગુરુવારે કહ્યું કે, જો વિશ્વએ આ તરફ ધ્યાન નહી આપ્યું તો દુનિયાભરના મુસલમાનોમાં કટ્ટરતા વધશે અને હિંસાનો દોર શરૂ થશે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનને કાશ્મીર પર દુનિયાના તમામ દેશો તરફથી નિરાશા મળી રહી છે. તમામ પ્રયત્નો બાદ ચીન અને તુર્કી સિવાય કોઇ પણ દેશ તરફથી પાકિસ્તાનને મહત્વ મળી રહ્યુ નથી. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરુવારે કહ્યું કે, જો વિશ્વએ આ તરફ ધ્યાન નહી આપ્યું તો દુનિયાભરના મુસલમાનોમાં કટ્ટરતા વધશે અને હિંસાનો દોર શરૂ થશે. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદથી જ પાકિસ્તાન વડાપ્રધાન ટ્વિટ કરી રહ્યા છે. તેમણે ટ્વિટ કર્યું કે શું દુનિયા ચૂપચાપ કાશ્મીરમાં મુસલમાનોનો એક અને સેબ્રેનિકા જેવા નરસંહાર અને વંશીય સફાયો જોતી રહેશે. ઇમરાને કહ્યું કે હું આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપવા માંગુ છું કે જો એમ થવા દીધું તો તેના ગંભીર પરિણામ થશે. જેની પ્રતિક્રિયામાં મુસ્લિમ દુનિયામાં કટ્ટરતા વધશે અને હિંસાનું ચક્ર ચાલશે. ભારતે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને હટાવી દીધી હતી અને રાજ્યના બે ટૂકડા કરીને તેને કેન્દ્રશાસિત દરજ્જો જાહેર કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન આ નિર્ણય બાદ ગભરાયું છે. સતત તે ભારત વિરુદ્ધ પ્રોપગ્રૈન્ડા કરી રહ્યું છે.