પાકિસ્તાનમાં આજથી હટશે લોકડાઉન, ઇમરાન ખાને કહ્યુ- સરકાર પાસે નથી પૈસા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2020 11:25 AM (IST)
પાકિસ્તાનમાં પાંચ સપ્તાહ બાદ વડાપ્રધાન ઇમરાન ખાને લોકડાઉન હટાવવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજથી પોતાના દેશમાંથી લોકડાઉન હટાવવાનો નિર્ણય લીધો હતો. એવું નથી કે પાકિસ્તાનમાં કોરોના વાયરસ કાબૂમાં આવી ચૂક્યો છે. પરંતુ ઇમરાન ખાનની દલીલ છે કે લોકડાઉન પાકિસ્તાનમાં લાગુ રહેશે તો વાયરસથી મોટી તબાહી મચાવશે કારણ કે સરકાર પાસે પૈસા નથી. પાકિસ્તાનમાં પાંચ સપ્તાહ બાદ વડાપ્રધાન ઇમરાન ખાને લોકડાઉન હટાવવાનો નિર્ણય લીધો છે. ઇમરાને કહ્યું કે, લોકડાઉનમાં સ્થિતિ ઠીક નથી. સરકાર અગાઉથી મુશ્કેલીથી ચાલી રહી હતી, અમે તમામને પૈસા આપી શકતા નથી. અમે ખૂબ પૈસા આપ્યા છે પરંતુ અમે કેટલા સમય સુધી પૈસા આપી શકીશું જેને કારણે લોકડાઉન ખોલવું જરૂરી છે. લોકડાઉન ખોલવાની જાહેરાત કરતા ઇમરાન હિંદુસ્તાનનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યા નહોતા. તેમના કહેવા પ્રમાણે પાકિસ્તાન હિંદુસ્તાનથી વધુ પોતાની જનતાનો ખ્યાલ રાખી રહી છે પરંતુ ઇમરાન ભૂલી ગયા હતા કે 22 કરોડની વસ્તી ધરાવતો દેશ સંભાળી શકાતો નથી અને 125 કરોડની વસ્તી ધરાવતા હિંદુસ્તાન સાથે તેઓ સરખામણી કરી રહ્યા છે. પાકિસ્તાનમાં લોકડાઉનના કારણે અત્યાર સુધી અઢી લાખ કરોડનું નુકસાન થઇ ચૂક્યું છે.પોણા બે કરોડ નોકરીઓ જવાની આશંકા છે. કોરોના વાયરસનો સામનો કરવો દુનિયાના તમામ દેશો માટે એક પડકાર છે. લોકડાઉને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન સરકારની કમર તોડી નાખી છે. આઠ મે સુધીમાં પાકિસ્તાનમાં કોરોના વાયરસના 25 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.