
સિંધ પ્રાંતમાં બીબી આસિફા ડેન્ટલ કોલેજની અંતિમ વર્ષની વિદ્યાર્થિની નિમ્રિતા ચાંદની 16 સપ્ટેમ્બરે તેના રૂમમાં ગળા પર દોરડું બાંધેલી હાલમાં મૃતદેહ મળી આવ્યો હતો. ચાંદકા મેડિકલ કોલેજ હોસ્પિટલ (સીએમસીએચ)ના વીમેન મેડિકો-લીગલ ઓફિસર ડો. અમૃતા દ્વારા જાહેર કરાયેલ અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાયું હતું કે, ચાંદનીનું મોત ગળું દબાવવાના કારણે થયું હતું. હત્યા પહેલાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે, ચાંદનીના કપડાં પર પુરૂષ ડીએનએની હાજરીની તેમજ તેના પર બળાત્કાર ગુજારાયો હોવાની પુષ્ટી મળી છે. અગાઉના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચાંદનીએ આત્મહત્યા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આ રિપોર્ટ સામે કેટલાંક નિષ્ણાંતોએ સવાલો ઉઠાવતાં ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પહેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચાંદનીના ભાઈએ દાવો કર્યો હતો કે, તેના ગળા પરના નિશાન સંકેત આપે છે કે નિમ્રિતાએ આત્મહત્યા કરી નથી. તેનો ભાઈ કરાચીમાં ડાઉ મેડિકલ કોલેજમાં મેડિકલ કન્સલટન્ટ છે.