Javed Akhtar 26/11 Statement: બોલિવૂડના જાણીતા લેખક જાવેદ અખ્તર હાલ પાકિસ્તાનમાં આપેલા પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. ગયા અઠવાડિયે તે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પાકિસ્તાનના લાહોર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે મુંબઈમાં આતંકવાદી હુમલા26/11 અંગે પાકિસ્તાનને બરાબરનું તતડાવ્યું હતું. જેને લઈને જાવેદ અખ્તરની ચારેકોર ભારે પ્રસંશા થઈ હતી. તેમણે કહ્યું હતું કે, મુંબઈ પરના હુમલાખોરો હજુ પણ તમારા દેશમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.


જાવેદ અખ્તરના આ નિવેદનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે તેમના વખાણ કર્યા છે. પરંતુ જાવેદ અખ્તરના આ નિવેદનથી પાકિસ્તાનની એક અભિનેત્રીના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાની અભિનેત્રી સબૂર અલી આના પર ગુસ્સે જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ લખીને તેણે જાવેદ અખ્તરના નિવેદનની આકરી ટીકા કરી છે.


સબૂર અલીએ આ વાત કહી


સબૂર અલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, કોઈ વ્યક્તિ તેના ઘરે આવે છે અને અપમાન કર્યા પછી જતી રહે છે. તેના પર ખુશી વ્યક્ત કરીને આનંદ વ્યક્ત કરવામાં આવે છે અને પછી તેને પગે પડવામાં આવે છે. કેટલુ શરમજનક. શિક્ષિત અભણ લોકો. સો કોલ્ડ નીચ. પોતાની પ્રતિભાને તો ક્યારેય આટલું સન્માન આપ્યું નથી. આ દેશમાં એવા મહાન આત્માઓ ચાલ્યા ગયા  જેમની પાસે અંતિમ ક્ષણોમાં સારવાર માટે પણ પૈસા નહોતા. તો પછી આ કદર કરનારા લોકો ત્યારે ક્યાં ભાગી જાય છે?


સમા સૂતરા પરત મોકલીએ છીએ - સબૂર અલી


સબૂર અલીએ આગળ લખ્યું, જે લોકો પોતાનું સન્માન કરવાનું નથી જાણતા તેની કોઈ બીજુ ઈજ્જત કરશે.  કળા માટે કોઈ સીમાઓ હોતી નથી, કોઈ બોર્ડર હોતી નથી. પરંતુ સીમાઓ અને રેખાઓ આપણા આદર માટે બનાવવામાં આવે છે ને? અભિનેત્રી વતી વધુમાં કહેવામાં આવ્યું હતું કે, અમારું હૃદય એટલું મોટું છે કે અમે તેમને સારી રીતે પાછા મોકલીએ છીએ અને તેમને ચા પણ પીવડાવીએ છીએ.


શું હતું જાવેદ અખ્તરનું નિવેદન?


જાવેદ અખ્તર પાકિસ્તાન ફૈઝ ફેસ્ટિવલ 2023માં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા. મંચ પરથી 26/11ના હુમલા પર પાકિસ્તાનને ઘેરતા તેમણે કહ્યું હતું કે, અમે તો નુસરત અને મહેંદી હસનના મોટા ફંક્શન આયોજીત કર્યા પરંતુ તમારા દેશમાં ક્યારેય લતા મંગેશકર માટે કોઈ ફંક્શન થયુ નથી. ચાલો આપણે એકબીજા પર દોષારોપણ ન કરીએ, તેનાથી કોઈ ઉકેલ આવશે નહીં.


પોતાની વાત યથાવત રાખતા તેમણે આગળ કહ્યું હતું કે, અમે બોમ્બેના લોકો છીએ. અમારા શહેર પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો તે અમે જોઈ ચુક્યા છીએ. એ લોકો કંઈ નોર્વેથી તો આવ્યા નહોતા કે નહોતા ઇજિપ્તથી આવ્યા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. તેથી જો આ ફરિયાદ કોઈ ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ.