ઇસ્લામાબાદઃ કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની હાલત વધુ ખરાબ થઇ રહી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 495 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને ત્રણ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. વૈશ્વિક સંકટના આ સમયમાં દુનિયાભરમાં લગભગ દોઢ લાખ પાકિસ્તાનીઓ ફસાયા છે જેઓ સ્વદેશ પરત આવવા માંગે છે પરંતુ  ઇમરાન સરકાર તેમને આવવા દેવા માંગતી નથી. જેનો ખુલાસો ઇમરાન ખાને જ કર્યો છે.


પાકિસ્તાની ન્યૂઝપેપર ડૉનની એક રિપોર્ટ અનુસાર, ઇમરાન ખાને શનિવારે કહ્યું હતુ કે, વિદેશોમાં ખાસ કરીને કોરોના પ્રભાવિત દેશોમાં લગભગ દોઢ લાખ પાકિસ્તાનીઓ સ્વદેશ પાછા આવવા માંગે છે પરંતુ સરકાર પાસે તેમના માટે કોઇ સુવિધા નથી. ઇમરાને કહ્યું કે આવી સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં વિદેશોમાં રહેતા લોકોને રાખવા માટે અમારી પાસે કોઇ સુવિધા નથી. જોકે,તેમણે દાવો કર્યો હતો કે આગામી બે ત્રણ સપ્તાહમાં સુવિધાઓ તૈયાર થઇ જશે.

વિદેશોમાં રહેતા આ પાકિસ્તાનીઓ દર વર્ષે લગભગ 22 અબજ ડોલર પાકિસ્તાનને મોકલે છે. એક તરફ જ્યાં ભારત સરકાર સંકટમાં ફસાયેલા પોતાના નાગરિકોને પાછા લાવી રહી છે તો બીજી તરફ ઇમરાન ખાન  પોતાના નાગરિકોને જ દેશમાં પ્રવેશ આપવા તૈયાર નથી. આ પાછળ અમેરિકાની આર્થિક સ્થિતિ જવાબદાર છે. અમેરિકા બાદ વર્લ્ડ બેન્ક અને એશિયા વિકાસ બેન્કે પણ પાકિસ્તાનને કોરોના વાયરસ સામે લડવા 58.8 કરોડ ડોલર આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. ગુરુવારે અમેરિકાએ પાકિસ્તાનને કોરોના વાયરસ સામે લડવા માટે એક કરોડ ડોલરની મદદની જાહેરાત કરી હતી.