નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી યુએઇના એક દિવસના પ્રવાસ બાદ શનિવારે અબુધાબીથી બહેરીન પહોંચી ગયા છે. બહેરીનના મનામા પહોંચવા પર એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ બહેરીન પહોંચ્યા હતા. બહેરીન પહોંચીને નરેન્દ્ર મોદીએ પ્રિન્સ ખલિફા બિન સલમાન અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી. કોઇ પણ ભારતીય વડાપ્રધાનની બહેરીનનો આ પ્રથમ પ્રવાસ છે.


વડાપ્રધાન મોદી બહેરીનના શાહ હમદ બિન ઇસા અલ ખલીફા સાથે વિવિધ દ્ધિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દા પર વ્યાપક ચર્ચા કરશે. મોદીએ બહેરીનના વડાપ્રધાન પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ વડાપ્રધાન શુક્રવારે અબુ ધાબી પહોંચ્યા હતા. જ્યાં તેમને યુએઇનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયદ એનાયત કરવામા આવ્યો હતો.


આ અગાઉ વડાપ્રધાન મોદીએ યુએઇમાં શનિવારે રૂપે કાર્ડની શરૂઆત કરી હતી અને આ કાર્ડનો ઉપયોગ કરીને એક કિલો લાડુ પણ ખરીદ્યા હતા. આ કાર્ડ માસ્ટરકાર્ડ અને વિઝા કાર્ડ સમકક્ષ ગણાશે. સંયુક્ત આરબ અમીરાતમાં ભારતના રાજદૂત નવદીપ સિંહ સૂરીએ અમીરાત પેલેસમાં આ કાર્ડના લોન્ચ દરમિયાન કહ્યું કે, મધ્યપૂર્વમાં સંયુક્ત આરબ અમીરાત પ્રથમ દેશ છે જ્યાં રૂપે કાર્ડની શરૂઆત કરવામાં આવી છે.