વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રુનેઈના પ્રવાસે રવાના થઈ ગયા છે. તેઓ એક દિવસ સુધી બ્રુનેઇના પ્રવાસે રહેશે. આ પછી તેઓ બુધવારે સિંગાપોરના બે દિવસીય પ્રવાસ માટે રવાના થશે. પીએમ મોદીની બ્રુનેઈ અને સિંગાપુરની આ ત્રણ દિવસીય મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.






પીએમ મોદી આ ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત બ્રુનેઈથી કરી રહ્યા છે. તેઓ સુલતાન હસનલ બોલ્કૈયાના આમંત્રણ પર બ્રુનેઈ પહોંચી રહ્યા છે. તેઓ બ્રુનેઈની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન હશે. આ વર્ષે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે.






વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેઓ આગામી બે દિવસ માટે બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ પર હશે. આ દેશોમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે આ દેશો સાથે ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત અને બ્રુનેઈ રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. હું સુલતાન હાજી હસનલને મળવા માટે આતુર છું. હું સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડાપ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ મંત્રી લી સેન લુંગ અને અન્ય વરિષ્ઠ મંત્રીઓને મળીશ. અમે ઘણા મુખ્ય ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે આતુર છીએ.


પીએમ મોદીની આ મુલાકાતમાં વેપાર સંબંધો વધારવાની સાથે અંતરિક્ષ અને સંરક્ષણ ક્ષેત્રે પણ સહયોગ વધારશે. ભારત બ્રુનેઈ સાથે સ્પેસ સેક્ટરમાં ઘણા મહત્વપૂર્ણ કરાર કરી ચૂક્યું છે. આ સાથે આ મુલાકાતથી બંને દેશો વચ્ચે ક્રૂડ ઓઈલ અને હાઈડ્રોકાર્બનના ક્ષેત્રમાં પણ સંબંધો મજબૂત થશે. આ પ્રવાસ સેમિકન્ડક્ટર અને હાઇડ્રોકાર્બન આયાત પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. આ ક્ષેત્રમાં કેટલાક કરારો પણ થઈ શકે છે.


ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો પેસિફિક વિઝનના સંદર્ભમાં બ્રુનેઈને ખૂબ જ મહત્વપૂર્ણ દેશ માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી 4 સપ્ટેમ્બરે બે દિવસીય સિંગાપોરની મુલાકાતે જશે. પીએમ મોદીની સિંગાપુરની આ પાંચમી મુલાકાત હશે. તેઓ વડાપ્રધાન લોરેન્સ વોંગના આમંત્રણ પર સિંગાપુર જઈ રહ્યા છે.