Russian Parliament calls for Missile Attack : આજે બુધવારે સાંજે રશિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે, મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેન દ્વારા મોકલવામાં આવેલા બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો તેમની ઓફિસ ક્રેમલિન પર કરવામાં આવ્યો છે. જોકે આ હુમલા દરમિયાન રશિયને કાઈનેટિક વેપન દ્વારા ડ્રોનને તોડી પાડ્યા હતાં. પરંતુ આ હુમલો હવે આ યુદ્ધને એક અલગ વળાંક પર લઈ જઈ શકે છે.


રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા નિપજાવવાના ઈરાદે કરવામાં આવેલા મિસાઈલ હુમલાના પ્રયાસ બાદ રશિયાની પાર્લામેન્ટે આકરા આદેશ આપ્યા છે. રશિયાની પાર્લામેન્ટે યુક્રેનના રાષ્ટ્રપતિ પર વળતા હુમલા કરવાના આદેશ જારી કરી દીધા છે. 


પુતિનને આ હુમલાના સમાચાર મળતા તેમણે તુરંત જ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં આ હુમલા બાદ યુક્રેનને જડબાતોડ જવાબ આપવા માટે ઉઠાવવામાં આવનાર પગલા અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે, હવે રશિયન રાષ્ટ્રપતિ તેમના ઘરમાં બનેલા બંકરમાંથી તમામ કામ કરશે.


આ સમગ્ર ઘટના બાદ માનવામાં આવી રહ્યું છે કે, હવે રશિયા યુક્રેન પર પહેલા કરતા વધુ તાકાત સાથે હુમલો કરશે. રશિયા તરફથી આ નિવેદન પણ સામે આવી રહ્યું છે કે, તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને પણ નિશાન બનાવી શકે છે. રશિયાની સંસદે યુક્રેનના રાષ્ટ્રપતિ પર મિસાઈલથી હુમલો કરવાનું કહ્યું છે. સંસદે કહ્યું છે કે, આ હુમલાના જવાબમાં કિવમાં ઝેલેન્સકીના ઘર પર મિસાઈલ છોડવામાં આવે.


જ્યારે રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી એક નિવેદન જારી કરીને યુક્રેનને ચેતવણી આપવામાં આવી છે. રશિયન મીડિયાએ રાષ્ટ્રપતિ કાર્યાલયને ટાંકીને કહ્યું છે કે, રશિયા યુક્રેનમાં આ ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જ્યાં પણ તેને યોગ્ય લાગે ત્યાં રશિયા હુમલા કરશે.


ક્રેમલિને આ ડ્રોન હુમલાને પૂર્વયોજિત આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. ક્રેમલિને દાવો કર્યો છે કે, રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો જાણીજોઈને વિજય દિવસની પરેડ પહેલા કરવામાં આવ્યો છે. જો કે, આ હુમલા છતાં 9 મેના રોજ યોજાનારી વિજય દિવસની પરેડના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.