Sri Lanka new President: અનુરા કુમાર દિસાનાયકેએ સોમવારે સવારે શ્રીલંકાના નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. દિસાનાયકે પર હવે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની મોટી જવાબદારી છે. મુખ્ય ન્યાયાધીશ જયંત જયસૂર્યાએ રાષ્ટ્રપતિ સચિવાલયમાં દિસાનાયકે (55)ને શપથ લેવડાવ્યા. પદની શપથ લીધા બાદ દિસાનાયકેએ કહ્યું કે તેઓ દેશની અંદર પુનરુત્થાનના નવા યુગની શરૂઆત કરવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરશે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ માટે શનિવારે મતદાન થયું હતું.


રવિવારે શ્રીલંકામાં આવેલા ચૂંટણી પરિણામમાં જનતા વિમુક્તિ પેરામુના (JVP) પાર્ટીના નેતા અને નેશનલ પીપલ્સ પાવર (NPP) ગઠબંધનના ઉમેદવાર દિસાનાયકેને વિજેતા જાહેર કરવામાં આવ્યા. દિસાનાયકેએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી 'સમાગી જન બાલવેગયા' (SJB)ના સજિથ પ્રેમદાસાને હરાવ્યા છે. આ દેશમાં આર્થિક સંકટને કારણે 2022માં થયેલા વ્યાપક જનઆંદોલન બાદની પ્રથમ ચૂંટણી છે. આ જનઆંદોલનમાં ગોટબાયા રાજપક્ષેને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. દિસાનાયકેએ ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત દેશને સંબોધતા જનાદેશનું સન્માન કરવા અને શાંતિપૂર્ણ સત્તા હસ્તાંતરણ માટે પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેનો આભાર માન્યો.


ભારત વિશે શ્રીલંકાએ શું કહ્યું?


દિસાનાયકે અને તેમની પાર્ટીનું ઝુકાવ ચીન તરફ માનવામાં આવે છે, પરંતુ હાલમાં પ્રારંભિક નિવેદનો ભારતના પક્ષમાં જોવા મળ્યા છે. દિસાનાયકેની પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે તેમનો દેશ કોઈપણ પ્રકારની ભૌગોલિક રાજકીય સ્પર્ધામાં નહીં ફસાય, સાથે જ તેઓ તેમના દેશને અન્ય કોઈ દેશની વિરુદ્ધ ઉપયોગમાં લેવા નહીં દે. આ નિવેદનને અનુરાની તરફથી ભારતને આશ્વાસન આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે અનુરા કુમાર દિસાનાયકેને ચીનના મિત્ર માનવામાં આવે છે.


ભારત એક મહાશક્તિ - શ્રીલંકા


દિસાનાયકેના પાર્ટી પ્રવક્તા બિમલ રત્નાયકેએ એક નિવેદનમાં કહ્યું કે શ્રીલંકાના ક્ષેત્રનો ઉપયોગ અન્ય કોઈ દેશની વિરુદ્ધ નહીં કરવામાં આવે. NPPની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય પ્રોફેસર અનિલ જયંતીએ કહ્યું કે ભારત નિશ્ચિતપણે અમારો મહત્વપૂર્ણ પડોશી અને મહાશક્તિ છે. ભારતનું પોતાનું એક મહત્વ છે. હિન્દ મહાસાગરમાં શ્રીલંકાની વ્યૂહાત્મક સ્થિતિએ તેની ભૌગોલિક રાજકીય પ્રાસંગિકતા વધારી છે.


શ્રીલંકાના વિપક્ષે શું કહ્યું?


દિસાનાયકેના શપથ ગ્રહણના કેટલાક કલાકો પહેલા વડાપ્રધાન દિનેશ ગુણવર્ધનેએ દેશમાં સત્તા હસ્તાંતરણ હેઠળ તેમના પદેથી રાજીનામું આપ્યું. ગુણવર્ધને (75) જુલાઈ 2022થી શ્રીલંકાના વડાપ્રધાન પદ પર હતા. ગુણવર્ધનેએ દિસાનાયકેને સંબોધીને લખેલા પત્રમાં કહ્યું કે તેઓ નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા હોવાથી પદેથી રાજીનામું આપી રહ્યા છે અને તેઓ નવા મંત્રીમંડળની રચના માટે અનુકૂળ વાતાવરણ બનાવશે. ચૂંટણી દરમિયાન દિસાનાયકેના ભ્રષ્ટાચાર વિરોધી સંદેશ અને રાજકીય સંસ્કૃતિ બદલવાના વચને યુવા મતદારોને આકર્ષિત કર્યા, જેઓ આર્થિક સંકટ પછીથી રાજકીય વ્યવસ્થા બદલવાની માંગ કરી રહ્યા હતા.


આ પણ વાંચોઃ