modi trump g7 bilateral meet: ફ્રાન્સમાં ચાલી રહેલી G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક ખૂબ જ મહત્વની બેઠક યોજાઈ હતી. આ મુલાકાતમાં ટ્રમ્પે ભારતને એક બહુ મોટું વચન આપતા કહ્યું છે કે, જ્યાં સુધી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે, ત્યાં સુધી જો ભારત પર કોઈ હુમલો થશે તો અમેરિકા ચોક્કસ દખલ કરશે અને ભારતની પડખે ઊભું રહેશે. આ ઉપરાંત, બંને નેતાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ફરજ બજાવતા લાખો ભારતીય ખલાસીઓની સુરક્ષાને લઈને પણ ગંભીર ચર્ચા થઈ હતી.
બુધવારે (17 જૂન, 2026) સાંજે લગભગ 7:30 વાગ્યે ફ્રાન્સના એવિયન શહેરમાં G7 સમિટ દરમિયાન બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે આ દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ હતી. આ બેઠક દરમિયાન ટ્રમ્પે ભારતને ભરોસો અપાવતા એક ઐતિહાસિક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભલે બંને દેશો વચ્ચે યુદ્ધ કે સંરક્ષણને લઈને કોઈ લેખિત કરાર ન હોય, પણ જો મોદી પીએમ પદે હશે અને ભારત પર કોઈ આંચ આવશે, તો અમેરિકા કોઈપણ સંજોગોમાં ભારતની સાથે ખભેખભો મિલાવીને ઊભું રહેશે.
બીજી તરફ, આ મુલાકાત બાદ યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધુની) માં કામ કરતા લાખો ભારતીય ખલાસીઓની સુરક્ષાનો અગત્યનો મુદ્દો ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે, તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાના હુમલામાં 3 ભારતીય ખલાસીઓના મોત થયા હતા.
આ પણ વાંચોઃ મેં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે!' પીએમ મોદી સમક્ષ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો ચોંકાવનારો દાવો
આ મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મેં આ ઘટના વિશે સાંભળ્યું છે, આ ખરેખર એક ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે અને અમે આ બાબતે કામ કરી રહ્યા છીએ." પીએમ મોદીએ પણ ભારપૂર્વક જણાવ્યું કે દરિયામાં તૈનાત આપણા લાખો ખલાસીઓની સુરક્ષા આપણા માટે ખૂબ જ મહત્વની છે.
આ સાથે જ પીએમ મોદીએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જે પણ શાંતિ કરાર થાય, તેમાં આ ખલાસીઓની સુરક્ષાના મુદ્દાને ખાસ ધ્યાનમાં લેવામાં આવે અને તેને પ્રાથમિકતા આપવામાં આવે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુંલાટ! ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, શરતો પૂરી નહીં થાય તો....
