Ukraine Russia War: યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. આજે  યુદ્ધના છઠ્ઠા દિવસે રશિયન દળોએ યુક્રેનની રાજધાની કિવમાં મુખ્ય ટીવી ટાવરને નિશાન બનાવ્યું. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને ઘણી ટીવી ચેનલોનું પ્રસારણ પ્રભાવિત થયું છે. યુક્રેનના ગૃહમંત્રીએ આ માહિતી આપી છે.


વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે, "રશિયન સેનાએ બેબનિયારમાં મેમોરિયલ કોમ્પ્લેક્સ પાસે ટીવી ટાવર પર હુમલો કર્યો. રશિયન ગુનેગારો તેમની બર્બરતાથી બાજ નથી આવતા. ઓબ્રાહ એચ મેટ્રો સ્ટેશનની ખૂબ નજીક છે જ્યાં સેંકડો લોકો સબવેમાં આશ્રય લઈ રહ્યા છે.



તમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવને પણ નિશાન બનાવ્યું છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ રહેણાંક વિસ્તારો પર હુમલા કર્યા છે. જેમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 


અગાઉ, ખારકીવ પ્રાદેશિક વહીવટના વડા ઓલેહ સિનેહુબોવે જણાવ્યું હતું કે રશિયાએ મંગળવારે ખારકિવના મધ્યમાં રહેણાંક ઇમારતો સાથેની વહીવટી ઇમારત પર ફાયરિંગ કર્યું હતું. જોકે આ ફાયરિંગમાં કેટલા લોકોના મોત થયા હતા તેની તેઓએ કોઇ જાણકારી આપી નહોતી. અગાઉ તેમણે કહ્યું હતું કે સોમવારે ખારકિવમાં થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે યુક્રેનિયન સૈન્ય રશિયાની આર્મીને શહેરમાં આગળ વધતી  રોકવાનો પ્રયાસ કરી રહી છે. યુક્રેનિયન સોશિયલ નેટવર્ક્સ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં જોઇ શકાય છે કે  ખારકિવ એક બિલ્ડિંગમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં તેની નજીક પાર્ક કરેલી ઘણી કારને નુકસાન થયું હતું. આ વિસ્ફોટથી બિલ્ડિંગની બારીઓના કાચ તૂટી ગયા હતા.


રશિયાના હુમલામા યુક્રેનની ઇમારત ધરાશાયી


રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત છ દિવસથી ચાલી રહ્યું છે. રશિયાની સૈન્ય હજી પણ યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બમારો કરી રહી છે.  રશિયાએ દાવો કર્યો હતો કે તેમના હુમલામાં 70થી વધુ યુક્રેનના સૈનિકો માર્યા ગયા છે. રશિયન સૈનિકો હવે કિવથી માત્ર થોડા કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે.