Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે 25 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે નવો વળાંક આવ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધને લઈને અનેક રાઉન્ડની વાતચીત થઈ છતા કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું છે. આ અંગે યુક્રેનની મીડિયા સંસ્થા 'ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ' અનુસાર, ઝેલેંસ્કીએ કહ્યું છે કે હું વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા માટે તૈયાર છું, પરંતુ જો આ વાતચીત નિષ્ફળ જશે તો તેનો અર્થ ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નિકળે. આ અગાઉ, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય (OHCHR) એ યુદ્ધ વિશે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. સંગઠને કહ્યું છે કે યુક્રેનમાં રવિવારની મધ્યરાત્રિ (સ્થાનિક સમય) સુધીમાં ઓછામાં ઓછા 902 નાગરિકોના મોત થયા છે. રશિયન હુમલામાં 1459 લોકો ઘાયલ થયા છે.


રશિયન સૈનિકોએ મારિયુપોલમાં તબાહી મચાવી


રવિવારે રશિયન સેનાએ યુક્રેનના મારીયુપોલ વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી. રશિયાએ મારીયુપોલને ચારે બાજુથી ઘેરી લીધું છે. મારીયુપોલ યુક્રેનનું બંદરગાહ છે અને હાલમાં યુક્રેનનો તે વિસ્તાર છે જે યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત છે. ભીષણ યુદ્ધ વચ્ચે અહીંનો મોટો સ્ટીલ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક સત્તાવાળાઓએ રશિયન હુમલાનો સામનો કરવા માટે પશ્ચિમી દેશો પાસેથી વધુ મદદ માંગી છે.


રશિયન સૈનિકો મારિયુપોલના નાગરિકો સાથે કરી રહ્યા છે બળજબરી


યુક્રેનના માનવાધિકાર લોકપાલ લુડમિલા ડેનિસોવાએ રશિયન સૈન્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ છે કે રશિયન સેના યુક્રેનના નાગરિકોને બળજબરીથી રશિયા લઈ જઈ રહી છે. તેમણે કહ્યું કે મારિયુપોલમાં બંધક બનાવવામાં આવેલા નાગરિકોને કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ કેમ્પમાં જ્યાં યુક્રેનિયન નાગરિકોના ફોન અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. કેમ્પમાંથી તેમને રશિયાના આર્થિક રીતે નબળા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે.


યુક્રેનિયન શહેરો પર હવાઈ હુમલાની ચેતવણી


રશિયા યુક્રેનના 18થી વધુ શહેરો પર હવાઈ હુમલા કરવા માટે તૈયાર છે. આ હાઈ એલર્ટ શહેરોમાં હવાઈ હુમલાને લઈને સતત સાયરન વાગી રહ્યા છે. રશિયા યુક્રેનના સુમી, ટેર્નોપીલ, પોલ્ટાવા, ખાર્કીવ, ઝપોરિઝિયા, કિવ, લેવિલ જેવા શહેરો પર મિસાઈલથી હુમલો કરી શકે છે.