પીએમ કિસાન યોજના: 23મો હપ્તો અટકી શકે છે! ₹2000 મેળવવા ખેડૂતો તાત્કાલિક કરો આ કામ
જો તમે e-KYC અને બેંક ખાતા સાથે આધાર લિંક નહીં કરો તો આગામી હપ્તો ખાતામાં જમા નહીં થાય જાણો કયા ખેડૂતોને નથી મળતો આ યોજનાનો લાભ.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને આર્થિક મદદ પૂરી પાડવા માટે ચલાવવામાં આવતી 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજના હેઠળ અત્યાર સુધીમાં 22 હપ્તા જમા કરવામાં આવ્યા છે. હવે લાખો ખેડૂતો 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ, જો તમે કેટલાક મહત્વપૂર્ણ કામો પૂરા કરવામાં ચૂક કરશો, તો આ ₹2,000 નો હપ્તો તમારા બેંક ખાતામાં જમા થતો અટકી શકે છે. આ યોજનાનો પૂરો લાભ મેળવવા માટે e-KYC કરાવવું અને બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. ચાલો વિગતે સમજીએ કે હપ્તો મેળવવા માટે કયા કામો કરવા જરૂરી છે અને કોને આ યોજનાનો લાભ નથી મળતો.
1/5
પીએમ કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની નાણાકીય સહાય આપે છે. આ રકમ ₹2,000 ના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે 1 એપ્રિલથી ચાર મહિનાની અંદર પહેલો હપ્તો ચૂકવવામાં આવે છે. 23મો હપ્તો ટૂંક સમયમાં જ જમા થવાની શક્યતા છે, પરંતુ અધૂરા દસ્તાવેજોના કારણે તે અટકી શકે છે.
2/5
જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું, તો તેને તાત્કાલિક પૂરું કરવું જરૂરી છે. આ કામ તમે બે રીતે કરી શકો છો: પહેલું, ઘરે બેઠા પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ પર જઈને OTP દ્વારા. અને બીજું, તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને બાયોમેટ્રિક દ્વારા. આ ઉપરાંત, હપ્તાની રકમ સીધી ખાતામાં આવે તે માટે તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું પણ એટલું જ જરૂરી છે. જો આમ નહીં હોય, તો તમારા હપ્તામાં વિલંબ થઈ શકે છે.
3/5
ઓનલાઈન e-KYC કેવી રીતે કરવું? - સૌથી પહેલા PM કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાવ. હોમપેજ પર "e-KYC" ના વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારો 12 આંકડાનો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો. તમારા મોબાઈલ પર આવેલો OTP નાખીને ચકાસણી કરો અને સબમિટ કરો.
4/5
પૈસા ન આવે તો ક્યાં સંપર્ક કરવો? - જો તમને પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ સમસ્યા હોય અથવા તમારા ખાતામાં પૈસા ન આવ્યા હોય, તો તમે સરકાર દ્વારા જારી કરાયેલા હેલ્પલાઈન નંબર્સ પર કૉલ કરી શકો છો. આ સેવા ખેડૂતો માટે 24 કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ ચાલુ રહે છે. ઈમેલ: pmkisan-ict@gov.in, ટોલ-ફ્રી નંબર: 155261 અથવા 1800115526, હેલ્પલાઈન નંબર: 011-23381092
5/5
નિયમો મુજબ, એક પરિવારમાં પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ એકસાથે લઈ શકતા નથી. જો આમ કરતાં પકડાશે, તો સરકાર તે રકમ પાછી વસૂલ કરી શકે છે. આ ઉપરાંત, જો ખેડૂત પરિવારની કોઈ વ્યક્તિ ઇન્કમટેક્સ (આવકવેરો) ભરતી હોય, એટલે કે પતિ કે પત્નીમાંથી કોઈએ ગયા વર્ષે ટેક્સ ભર્યો હોય, તો તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે. જે ખેડૂતો પાસે પોતાની માલિકીની જમીન નથી અને તેઓ બીજાની જમીન ભાડે રાખીને ખેતી કરે છે, તેઓ પણ આ સહાય માટે હકદાર નથી. સાથે જ, જો પરિવારની કોઈ વ્યક્તિ બંધારણીય પદ પર હોય, તો તેમને પણ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
Published at : 20 May 2026 04:46 PM (IST)