RBI Guidelines: લોકરની ચાવી ખોવાય તો શું કરવું? FIR કરવી જરૂરી છે? વાંચો તમારા અધિકારો
લોકર તોડવાનો ખર્ચ કોણ ભોગવશે? FIR કરવી જરૂરી છે? RBI ની ગાઈડલાઈન અને ગ્રાહક તરીકે તમારે શું પગલાં લેવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી મેળવો.

ઘણા લોકો પોતાની કિંમતી વસ્તુઓ, દાગીના અને મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખવા માટે બેંક લોકર (Bank Locker) નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો ક્યારેક ભૂલથી આ લોકરની ચાવી ખોવાઈ જાય, તો ગ્રાહકો ભારે મુશ્કેલી અને ગભરાટમાં મુકાઈ જાય છે.
1/5
મનમાં અનેક સવાલો ઉભા થાય છે કે હવે લોકર કેવી રીતે ખુલશે? શું દાગીના સુરક્ષિત હશે? અને સૌથી મોટો પ્રશ્ન એ કે આનો ખર્ચ કોણ ભોગવશે? જો તમે પણ આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવ, તો ગભરાવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અને તમારા અધિકારો વિશે અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
2/5
સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે બેંક લોકર ડ્યુઅલ કી (Dual Key) સિસ્ટમ પર કામ કરે છે. લોકર ખોલવા માટે એકસાથે 2 ચાવીઓની જરૂર પડે છે. જેમાંની એક ચાવી ગ્રાહક પાસે હોય છે, જેની કોઈ ડુપ્લિકેટ કોપી બેંક પાસે હોતી નથી. જ્યારે બીજી 'માસ્ટર કી' બેંક પાસે હોય છે. જ્યાં સુધી બંને ચાવીઓ એકસાથે ન લાગે ત્યાં સુધી લોકર ખુલતું નથી. આથી જ જ્યારે ગ્રાહકની ચાવી ખોવાઈ જાય છે, ત્યારે લોકર ખોલવું મુશ્કેલ બની જાય છે.
3/5
જો ચાવી ખોવાઈ જાય, તો તમારે સૌથી પહેલા સંબંધિત બેંક શાખાને લેખિતમાં જાણ કરવી જોઈએ. સુરક્ષાના કારણોસર ઘણી બેંકો પોલીસ ફરિયાદ એટલે કે એફઆઈઆર (FIR) ની નકલ માંગી શકે છે. આ ઉપરાંત, ગ્રાહકે એક 'બાંયધરી પત્ર' (Undertaking) આપવું પડે છે કે ભવિષ્યમાં જો જૂની ચાવી મળી જશે તો તે બેંકને પરત કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે આધાર કાર્ડ અથવા પાન કાર્ડ જેવા કેવાયસી (KYC) દસ્તાવેજો રજૂ કરવાના રહે છે.
4/5
ચાવી ન મળે, ત્યારે અંતે લોકર તોડવું પડે છે. આ પ્રક્રિયા બેંકના અધિકૃત ટેકનિશિયન દ્વારા અને માત્ર ગ્રાહકની હાજરીમાં જ કરવામાં આવે છે. લોકર તોડવાનો, નવું લોક (Lock) લગાવવાનો અને નવી ચાવી બનાવવાનો તમામ ખર્ચ ગ્રાહકે ભોગવવો પડે છે. આ ચાર્જ અલગ-અલગ બેંકો અને લોકરની સાઈઝ મુજબ જુદો હોઈ શકે છે. જોકે, બેંક તમને આ ખર્ચ અંગે અગાઉથી જાણ કરવા બંધાયેલી છે.
5/5
ખર્ચ ગ્રાહક ભોગવે છે તેનો અર્થ એ નથી કે બેંકની જવાબદારી પૂરી થઈ જાય છે. લોકર તોડતી વખતે અંદર રહેલી વસ્તુઓને નુકસાન ન થાય અને ગોપનીયતા જળવાય તે જોવાની જવાબદારી બેંકની છે. જો બેંકની બેદરકારીને કારણે કોઈ નુકસાન થાય, તો RBI ના નિયમો મુજબ ગ્રાહક વળતર (Compensation) મેળવવા માટે હકદાર છે. જો તમે બધી પ્રક્રિયા પૂર્ણ કરી હોય છતાં બેંક લોકર ખોલવામાં બિનજરૂરી વિલંબ કરે, તો તેને 'સેવામાં ખામી' ગણવામાં આવે છે. આવા સંજોગોમાં તમે બેંકિંગ લોકપાલ (Banking Ombudsman) અથવા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી શકો છો.
Published at : 20 Jan 2026 06:56 PM (IST)