PHOTOS: નૂતન વર્ષ 2082 નો પ્રથમ શનિવાર, સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવને ₹10 થી ₹500 ની ચલણી નોટોનો ભવ્ય શણગાર!
વિક્રમ સંવત 2082 ના નવા વર્ષની શરૂઆતના પ્રથમ શનિવારે, સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનજી ને ભવ્ય શણગાર કરવામાં આવ્યો.
હનુમાનજીને પ્યોર સિલ્ક ના કાપડમાંથી 5 દિવસની મહેનતે તૈયાર કરાયેલા એમ્બ્રોઇડરી વર્ક વાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ સાથે, દાદાના સિંહાસનને ₹10 થી લઈને ₹500 સુધીની વિવિધ ભારતીય ચલણી નોટો થી શણગારવામાં આવ્યું.
1/5
આ વિશેષ દર્શન અને આરતીનો લ્હાવો લેવા માટે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અને કોઠારી વિવેકસાગર સ્વામીની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
2/5
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે, તા. 25 ઓક્ટોબર, 2025 ને શનિવારના રોજ, નૂતન વર્ષ વિક્રમ સંવત 2082 ની શરૂઆતના પહેલા શનિવારે દાદાને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.
3/5
આજના પવિત્ર દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને વૃંદાવન માં પાંચ દિવસ ની મહેનતે ખાસ તૈયાર કરાયેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. પૂજારી સ્વામીએ આ શણગાર વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું કે આ વાઘા પ્યોર સિલ્ક ના કાપડમાંથી બનાવવામાં આવ્યા છે, જેમાં સુંદર એમ્બ્રોઇડરી વર્ક નું કૌશલ્ય જોવા મળે છે.
4/5
આજના વિશેષ શણગારનું મુખ્ય આકર્ષણ દાદાનું સિંહાસન હતું. કષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસનને વિવિધ મૂલ્યની ભારતીય ચલણી નોટો થી શણગારવામાં આવ્યું હતું. આ શણગારમાં ₹10, ₹20, ₹50, ₹100, ₹200 અને ₹500 રૂપિયાની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે દાદાના દર્શનને વધુ ભવ્ય બનાવી રહ્યું હતું.
5/5
સવારે, કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ, શણગાર આરતી પ.પૂ. શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીના દર્શનનો લ્હાવો લેવા માટે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. નૂતન વર્ષના આ પ્રથમ શનિવારે હનુમાનજી દાદાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આખો મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરચક જોવા મળ્યો હતો.
Published at : 25 Oct 2025 07:20 PM (IST)
= 5">