ખોડલધામમાં નરેશ પટેલને મળવા ભાજપ-કોંગ્રેસના ક્યા નેતા ગયા ? નરેશ પટેલે તેમનું શું કહ્યું ?
નરેશ પટેલ વતી આ જાહેરાત કરતાં જ તમામ રાજકીય અટકળોનો અંત આવ્યો છે. બીજી તરફ નરેશ પટેલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને એપીલ કરી હતી કે, પટેલ સમાજના હિતમાં કાર્ય કરો અને સમાજને મદદરૂપ થાય તેવા ઉમેદવારને સહયોગ આપવો. સાથે સાથે સંગઠન અને એકતા જાળવી રાખવા પણ સંકલ્પ કરાયો હતો.
જેતપુર: લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામમાં શનિવારે સમાજના ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે, નરેશ પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના નથી. નરેશ પટેલ કે તેનો પરિવાર રાજકારણમાં આવવા ઇચ્છતો નથી.
ઉમેદવારો સુમેળભર્યા વાતાવરણમાં ચૂંટણી લડે તેમજ ચૂંટણી પૂર્ણ થઇ જાય ત્યારે પણ પટેલ સમાજના લોકોનું સંગઠન મજબૂત ટકાવી રાખવા સર્વ સહમતી સધાઇ રહે તેવો હેતુ સાથે બેઠક યોજાઇ હતી. થોડા સમય પહેલા હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે, નરેશભાઇ કોંગ્રેસમાં જોડાય તો અમે સાથે મળી સારૂ પરિણામ લાવીશું.
ખોડલધામ તથા રાજકીય અગ્રણીઓ સાથે આ ઉપરાંત વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. બેઠક બાદ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, આ બેઠક કોઇ રાજકીય પક્ષના ટેકા માટે ન હતી. પરંતુ બંને પક્ષોમાં ચૂંટણી વેળાએ લેઉવા પટેલ ઉમેદવારોના લેઉવા પટેલ કાર્યકરો વચ્ચે વૈમનસ્ય ન થાય તે માટે હતી.
નરેશ પટેલની હાજરીમાં નિર્ણય લેવાયો હતો કે કોઈપણ પક્ષ આગામી ચૂંટણીમાં પાટીદાર નેતાને ચૂંટણીની ટીકિટ આપે તો તેને સપોર્ટ કરવો. પાટીદારોમાં સંવાદીતા જળવાઇ રહે તેવા સૂર સાથે હાજર સૌ સહમત થયા હતા. ચૂંટણી આવે અને જતી રહે પણ પટેલ સમાજની એકતા તૂટવી ન જોઇએ તેવો મત બંધાયો હતો.
નરેશ પટેલે સવારે કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પરેશભાઈ ધાનાણી, હર્ષદભાઈ રાબડીયા, મિતુલ દોંગા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે ૩:૩૦ વાગ્યે ખોડલધામ મંદિર ખાતે ભાજપના ધનસુખ ભંડેરી, દિલિપ સંઘાણી ગોવિંદભાઈ પટેલ, આર. સી. ફળદુ સહિતના આગેવાનો સાથે બેઠક થઈ હતી.