આજે ખોડલધામમાં 1008 કુંડી યજ્ઞ, 11.25 લાખના ચંદનના કાષ્ટ અને 1 લાખનું તુલસી વાપરવામાં આવશે
ખોડલધામ મહોત્સવના પહેલા દિવસે 10 લાખ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બીજા દિવસે 11 લાખ લોકોએ પ્રસાદ લીધો હતો. આજે ત્રીજા દિવસે પણ ૧૫ લાખ લોકોએ પ્રસાદ લીધો હતો. પ્રસાદમાં મોહનથાળ, ગુંદી, રોટલી, શાક, સલાડ અને દાળભાતનો સમાવેશ થાય છે. 48 વિઘામાં ભોજન શાળા ઉભી કરાઈ છે.
અરબી સમુદ્ર, પ્રશાંત મહાસાગર, હિન્દ સાગર સહિતના સમુદ્રોના જળ પણ હવન માટે લવાયા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના ૧૦૮ કૂવાનું પાણી પણ લાવીને હવન વિધિમાં ઉપયોગમાં લેવાશે.
આજે 1008 કુંડી હવનમાં પણ વિવિધ પૂજાઓ કરાશે. જેમાં સમાજના 1008 યુગલ હવનમાં બેસશે. ૧૦૦૮ કૂંડ હવનમાં આહૂતિ માટે સમીધ પડો તૈયાર કરાયો છે. આ ઉપરાંત ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા, ગોમતી સહિતની નદીઓનાં જળ પણ આહૂતિ રૂપે અર્પણ થશે. સમુદ્ધ જળ પણ પૂજનવિધિમાં હશે.
રાજકોટઃ આજે કાવગડ ખાતે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1008 કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે. આ હવનમાં લાખો રૂપિયાની મોંઘી વસ્તુઓનો ઉપયોગ હોમવા માટે થશે. જેમાં દોઢ લાખનું એક કિલો એવા સાડા સાત કિલો એટલે કે કુલ 11.25 લાખ રૂપિયાનું ચંદનના કાષ્ટ વપરાશે. ઉપરાંત હવનમાં 1 લાખનું એક કિલો તુલસી મધ પણ વાપરવામાં આવશે. આ સિવાય 4000ની એક કિલો એવી હળદર વાપરવામાં આવી રહી છે.
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિર પરિસર પર પુષ્પવર્ષા કરવા માટે હેલિકોપ્ટર રાખવામાં આવ્યું છે. હેલિકોપ્ટરથી ખોડલધામ આવતા ભાવિકો પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે. પુષ્પવર્ષા કરવા માટે એક વ્યક્તિએ 3500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. હેલિકોપ્ટર રોજ આવા 40 રાઉન્ડ લગાવે છે.