વિઠ્ઠલ રાદડિયાએ હાર્દિક પર કડવા-લેઉઆને લઈને કર્યો પ્રહાર, હાર્દિકે શું આપ્યો જવાબ?
આ સાથે તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિવેદન આપ્યું હતું કે, હાર્દિકના નિવેદનથી 2017ની ચૂંટણીમાં કંઇ ફેર ના પડે. આવા તો કંઇક આંદોલન આવીને જતા રહ્યા. રાદડિયાના નિવેદનના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું લેઉવા કે કડવા નથી. હું મા ઉમા-ખોડલનું પાટીદાર સંતાન છું. હું પહેલા કડવા પટેલ હતો, હવે ફક્ત પાટીદાર છું.
રાદડિયાએ ઉમેર્યું હતું કે, પાટીદાર અનામતની માંગ વ્યાજબી છે. હું પાટીદાર છું અને અનામત મળવી જોઇએ. હાર્દિકનું ફરી ગુજરાત આવવું તેની સાથે મારે કોઇ લેવા દેવા નથી. હાર્દિક લેઉવા પટેલ નથી પરંતુ કડવા પટેલ છે. હાર્દિક પટેલ ખોડલધામ આવે તો પણ મને કોઇ વાંધો નથી. પરંતુ લેઉવા પટેલનું ખોડલધામ છે અને તેના ફંડમાંથી બનાવ્યું છે.
રાજકોટઃ ભાજપના સંસદસભ્ય અને પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયા અને હાર્દિક પટેલ વચ્ચે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. ગઈ કાલે ખોડલધામ આવેલા સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ કડવા-લેઉઆને લઇને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, અમારા સમાજ સાથે હાર્દિક પટેલને શું લેવાદેવા? ખોડલધામ ઉત્સવમાં આવવું હોય તો આવે અમે તેને રોકીશું નહીં.
તેણે ઉમેર્યું હતું કે, સમાજને તોડી રહેલા તત્વોને વિનંતી કરું છું કે સમાજનું વિચારો પોતાનું નહીં. સમાજ તોડવાનું નહીં જોડવાનું વિચારો. મા ઉમા ખોડલના સાનિધ્યમાં આવું નિવેદન કરવું સારું નથી લાગતું. લાલજી પટેલે પણ એક કટાક્ષમાં કહ્યું હતું કે અમારું આંદોલન 2010થી ચાલું છે. અનેક આવ્યા અને ગયા. હાર્દિક ગુજરાત આવ્યો એ સંદેશ નથી. કેટલાક લોક રાજકીય રોટલા શેકે છે.
રાદડિયાના આવા નિવેદનનો હાર્દિકે વળતો જવાબ આપ્યો છે. તેણે રાદડિયાને જવાબ આપતાં જણાવ્યું હતું કે, હું લેઉવા કે કડવા નથી. હું મા ઉમા-ખોડલનું પાટીદાર સંતાન છું. ખોડલધામથી નિકળ્યા બાદ રાદડિયાએ જણાવ્યું હતું કે, ખોડલધામ લેઉવા પટેલ સમાજનું અસ્તિત્વનું માધ્યમ છે. સમાજની સાથે છું. હું ખોડલધામનો મહેમાન નથી. આ લેઉવા પટેલના સંગઠનનો કાર્યક્રમ છે. માત્ર લેઉવા પટેલ સમાજ પૂરતું જ છે.