ખોડલધામના નરેશ પટેલને કોંગ્રેસ મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવશે તેવી ચર્ચાથી રાજકીય ગરમી, જાણો વિગત
જો નરેશ પટેલ કોગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નક્કી થાય તો કોગ્રેસ માટે ચૂંટણી જીતવી સરળ બની જાય. અલબત્ત નરેશ પટેલ તરફથી આ પ્રકારનો કોઈ સંકેત નથી અપાયો પણ નરેશ પટેલની રાહુલ સાથેની નિકટતાના કારણે ભાજપમાં ચિંતાનો માહોલ તો પેદા થઈ જ ગયો છે.
ગુજરાતમાં લાંબા સમયથી શાસનથી વંચિત કોગ્રેસ માટે આ ચૂંટણી કરો યા મરો સમાન રહેશે. કોગ્રેસ પણ એવા મુખ્યમંત્રી ચહેરાની શોધમાં છે જે રાજનીતિની સાથે તમામ સમાજના લોકોનું હિત વિશે વિચારતો હોય. જેના પર લોકો વિશ્વાસ મુકી શકે અને તેના પર કોઇ સવાલ પણ ના ઉઠાવી શકે.
ખોડલધામ જેવું ધાર્મિક સ્થળ બનાવી નરેશ પટેલે પોતાની આગવી ઓળખ બનાવી છે. એટલું જ નહીં પણ તેમણે લેઉવા પટેલોને તેમણે એક કર્યા છે. રાજકીય સૂત્રોના કહેવા પ્રમાણે, નરેશ પટેલ કોગ્રેસ પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડે તો આગામી મુખ્યમંત્રી બની શકે છે.
સામાજિક અને રાજકીય રીતે ખોડલધામના નરેશ પટેલની છબિ સ્વચ્છ છે અને તેમની વ્યવહાર કુશળતાને સૌ કોઇ જાણે છે. પાટીદાર ધાર્મિક સંગઠનોના બીજા નેતાઓ ભાજપના પગમાં આળોટે છે ત્યારે નરેશ પટેલ પહેલાંથી ભાજપ સાથે અંતર રાખીને ચાલતા રહ્યા છે તેના કારણે કોંગ્રેસ તરફ તે ઢળેલા હોવાનું મનાતું જ હતું.
જો કોગ્રેસ નરેશ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દે તો એ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડી સામે રાહુલ ગાંધીનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવશે. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં કોગ્રેસ માટે જીતવું સરળ બની શકે છે. નરેશ પટેલનો વિકલ્પ શોધવો ભાજપ માટે મુશ્કેલ બની શકે છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ છે કે કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરીવાર ઓક્ટોમ્બર મહિનામાં ગુજરાતના પ્રવાસે આવશે તે સમયે કોગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવારના ચહેરાની જાહેરાત થઇ શકે છે. નરેશ પટેલે ખોડલધામમાંથી રાજીનામું આપ્યું ત્યારથી તેમના કોગ્રેસમાં સામેલ થવાની ચર્ચાઓ ચાલી રહી છે.
તાજેતરમાં કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની યાત્રાએ આવ્યા અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસોન પ્રવાસ કર્યો ત્યારે નરેશ પટેલ સાથે તેમણે બંધબારણે એક કલાક બેઠક કરી હતી. તેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે કોગ્રેસ નરેશ પટેલને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવી પાટીદાર મતો અંકે કરી શકે છે.
રાજકોટઃ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન મહત્વની ભૂમિકા ભજવી શકે છે એ વાત કોગ્રેસ અને ભાજપ બંન્ને પક્ષ સારી રીતે જાણે છે. બંન્ને પક્ષો પાટીદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ખોડલધામના નરેશ પટેલને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે.