જંગવડમાં PAASના કાર્યક્રમમાં ઉમટી હજારોની ભીડ. રોડ પર લાગી વાહનોની લાઈન, કેવો હતો નજારો, જુઓ તસવીરો
રાજકોટઃ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૧મી જન્મ જયંતી નિમિતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્ધારા રાજકોટના જસદણનાં જંગવડ ગામ ખાતે પાટીદાર સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બેસતુ વર્ષ હોવા છતાં આ સમારોહમાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઇ-બહેનો જોડાયા હતા.
સભાને સંબોધતા હાર્દિકે કહ્યુ હતું કે, પાટીદાર અનામત આંદોલન ચાલુ જ રહેવાનો હૂંકાર કર્યો હતો. ૨૦૧૭ની ચૂંટણીને લઇને હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, અનામત આંદોલન ચાલું જ રહેશે, ભલે ફઇબા ગયા હોય, રૂપાણી પણ જાય, અમિત શાહ પણ જાય કે પછી નરેન્દ્ર મોદી પણ જાય, આંદોલનથી અનામત લઇને જ જંપીશું.
આગામી ૨૧ જાન્યુઆરીના રોજ રાજકોટનાં કાગવડ ગામ ખાતે ખોડલધામ મંદિરના સ્થાપન વિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ સાથે પાસનાં કન્વિનરો બેઠક કરશે અને જો મંદિરમાં ભાજપનાં વખાણ કરાશે તો પાસ દ્ધારા તેનો વિરોધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જેલમાંથી છૂટ્યા બાદ હાર્દિક પટેલે પ્રથમવાર એલઇડી સ્ક્રીન પર સભાને સંબોધી હતી. મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલનમાં હાર્દિક પટેલના પિતા ભરત પટેલ, દિનેશ બાંભણીયા, રેશ્મા પટેલ, નલિન કોટડીયા સહિતના સૌરાષ્ટ્ર પાસના કન્વિનરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્નેહ મિલનમાં પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલે ઉદયપુરથી એલઇડી સ્ક્રીન પર લાઇવ સભાને સંબોધી હતી. પોતાના ભાષણમાં હાર્દિક પટેલે પાટીદાર સમાજનું અનામત આંદોલન ચાલુ હતુ ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને બોલાવીને કહ્યુ હતું કે, આંદોલન સમેટો નહિ તો તમારી ફાઇલો તૈયાર છે જેલમાં મોકલી દેશું તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો.