આ છે દાઉદ ગેંગની બે કિલર લેડીઃ અશફાકની હત્યાના કાવતરામાં તેમની શું હતી ભૂમિકા ? જાણો
રીઝવાના અને અશ્વિની બંને શાર્પશૂટર રામદાસ સાથે સંકળાયેલી છે જ્યારે વિનિતની પ્રેમિકા ઝડપાઈ નથી. રીઝવાના જામનગરમાં રેકી કરવા માટે રામદાસ સાથે આવી ત્યારે તેની પાસે પિસ્તોલ હતી. રામદાસ રીઝવાનાને સાથે લાવ્યો હતો કે જેથી બંને કપલ લાગે અને કોઈને તેમના પર શંકા ના જાગે.
વિનિત જલાટેની પ્રેમિકા કોણ છે અને રામદાસ સાથે રહેલી બે યુવતીઓ સંદર્ભે તપાસ કરાઇ હતી. આ પૈકી રામદાસ સાથે સંકળાયેલી બે યુવતી પોલીસના સકંજામાં આવી ગઇ છે. જલાટેની પ્રેમિકાની પોલીસને તલાશ છે. રાજકોટ પોલીસે બપોરથી મોડી રાત સુધી મુંબઇમાં વોચ ગોઠવીને ઓપરેશન પાર પાડ્યું હતું.
રીઝવાના દાઉદ ઈબ્રાહીમ ગેંગ સાથે સંકળાયેલી છે. રીઝવાના મુખ્યત્વે રેકી કરીને ટાર્ગેટ અંગે માહિતી એકઠી કરવાનું કામ કરે છે. અશ્વિની મુંબઈમાં તિલકનગર ખાતે રહે છે અને તેના પણ રામદાસ સાથે સંબંધો છે. અશ્વિમી પણ રામદાસ સાથે જામનગરમાં રેકી કરવા માટે આવી હતી.
રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ બે શાર્પશૂટર રામદાસ રહાણે અને વિનિત જાલટેને લઇને મહારાષ્ટ્ર ગઈ હતી. આ ટીમે મુંબઇમાં શાર્પશૂટરના ત્રણ સાગરીત અને બે યુવતીઓની ધરપકડ કરી છે. આ પકડાયેલી યુવતીઓનાં નામ રીઝવાના અને અશ્વિની છે. આવતી કાલે તમામને રાજકોટ લવાશે.
રાજકોટ: જામનગરના વેપારી અશફાક ખત્રીની હત્યા કરવા માટે આવેલા દાઉદ ઈબ્રાહીમ ગેંગના ચાર શાર્પશૂટર્સ સાથે બે યુવતીઓ પણ સંકળાયેલી હોવાની વાત બહાર આવતાં પોલીસ હચમચી ગઈ છે. રાજકોટ પોલીસે ગઈ કાલે આ બે યુવતી સહિત બીજાં પાંચ લોકોને ઝડપી લીધાં હતાં પણ હજુ એક યુવતી પકડાવાની બાકી છે.
રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાંચના માણસો સહિત 30 જવાનો અને મહિલા પોલીસની ટીમ સવારે મુંબઇ પહોંચી ગઇ હતી અને જે ત્રણ શખ્સોનાં નામ ખૂલ્યા છે તેને પકડવા માટે મુંબઇ ક્રાઇમ બ્રાંચની મદદ લઇને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દાઉદના ભાઈ અનિસના ઈશારે હત્યા કરવા આવેલા શાર્પ શૂટર્સ પૈકી રામદાસ રહાણે અને વિનિત જાલટે ક્યા વિસ્તારમાં રહે છે તે સંદર્ભ તપાસ શરૂ કરી હતી. આ બંને શખ્સોમાંથી વિનિત તેની પ્રેમિકા સાથે અને રામદાસ રહાણે અન્ય બે યુવતીને લઇને રાજકોટની હોટેલમાં રોકાયો હોવાનું બહાર આવ્યું હતું.
ચારેય શાર્પશૂટરોના ત્રણ સાગરિતો રાજકોટની પોલીસ ટીમના હાથમાં આવી ગયા પછી તેમની પાસેથી કેટલીક ચોંકાવનારી હકીકતો મળી હોવાનું પોલીસનાં સૂત્રો જણાવી રહ્યા છે. આ બાબતે સોમવારે એટલે કે આજે પત્રકાર પરિષદ કરીને પોલીસ સ્પષ્ટતા કરે તેમ મનાઈ રહ્યું છે.